મોબાઈલ અને બાળકો. કોરોનામાં આ બંને વચ્ચે મિત્રતા બની ગઈ છે. કારણ કે માતા-પિતાએ ઓનલાઈન એજ્યુકેશનને ધ્યાને રાખીને બાળકોના હાથમાં જ મોબાઈલ સોંપી દીધો હતો. .પરંતુ અભ્યાસ સિવાય કલાકો સુધી મોબાઈલ લઈને બેસનારા બાળકોમાં હવે તેની અસરો જોવા મળી રહી છે. બાળકો અનેક રોગમાં સપડાઈ રહ્યા છે.
ઓનલાઈન શિક્ષણની હવે શરૂ થઈ આડઅસર!
કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થયું. અને તેને આવકાર પણ મળ્યો. પરંતુ હાલ કોરોના નહિવત હોવા છતાં પ્રાથમિક શાળાઓ શરૂ નથી થઈ. જેના કારણે 3 થી 13 વર્ષના બાળકો ઓનલાઈન ભણી રહ્યા છે. પરંતુ આ ઓનલાઈન શિક્ષણ હવે ખતરાની ઘંટી સાબિત થઈ રહ્યું છે. કારણ કે, કોરોના બાદ 3 થી 12 વર્ષના બાળકોમાં આંખના રોગોનું પ્રમાણ વધ્યું છે. આઈ સર્જન તબીબોના સર્વેમાં દર 100 બાળકોમાંથી 30 બાળકોમાં આંખનો રોગ સામે આવ્યો છે. જેમાં આંખો સુકાઈ જવી, માથું દુખવું, ચશ્માના નંબર આવવા વગેરે ફરિયાદ વધી રહી છે.
બાળકને અભ્યાસ માટે મોબાઈલ આપીને છૂટી ન જાઓ
બાળકોમાં આંખને લગતી બીમારી વધવા પાછળનું મુખ્ય કારણ મોબાઈલ છે. કારણ કે, કોરોનામાં માતા-પિતા તો બાળકને અભ્યાસ માટે મોબાઈલ આપીને છૂટી જતાં હતા. પરંતુ અભ્યાસ બાદ તેમનું બાળક શું કરે છે તેના પર ધ્યાન ન આપ્યું. બીજી તરફ હાલના સમયે પણ 1 થી 7 ધોરણની સ્કૈલો બંધ છે. જેના કારણે ઓનલાઈન શિક્ષણ સિવાય કોઈ રસ્તો નથી. ત્યારે આશા રાખીએ કે, વીટીવી ન્યૂ{ના આ રિપોર્ટ બાદ રાજ્યના તમામ માતા-પિતા થોડી ગંભીરતા દાખવશે અને પોતાના બાળકને અભ્યાસ સિવાય મોબાઈલથી દૂર રાખવાનો પ્રયાસ કરશે.