ચીનમાં કોરોનાના કહેરને પગલે કેન્દ્રની સાથે ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. કોરોનાની ફરી દહેશત વચ્ચે અમદાવાદમાં વેક્સિનની માંગ વધી છે.
અમદાવાદમાં વેક્સિનની વધી માંગ
મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે રસીનો સ્ટોક નહીં
આરોગ્ય વિભાગે સરકાર પાસે કરી વેક્સિનની માંગ
દુનિયાભરના અનેક દેશોમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે, જેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોઈ પણ ઈમરજન્સી સ્થિતિનો સામનો કરવા માટે પર્યાપ્ત સ્વાસ્થ્ય સુવિધાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના નિર્દેશ પણ આપ્યા હતા. કોરોના વાયરસની સંભવિત સ્થિતિ વચ્ચે વેક્સિનની માગ વધી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે વેક્સિનની માંગ કરી છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પાસે રસીનો સ્ટોક ખતમ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે રસીનો સ્ટોક ખુટી ગયો હોવાની વાત સામે આવી છે. આરોગ્ય કેન્દ્ર પરથી 3 હજાર 500 લોકો વેક્સિન લીધા વગર જ પરત ફર્યા હોવાનું સામે આવ્યું છે. શહેરના 82 સેન્ટર પર માત્ર 910 લોકોને રસી આપવામાં આવી છે. મ્યુનિસિપલ આરોગ્ય વિભાગે સરકાર પાસે 1 લાખ કોરોના વેક્સિનની માગણી કરી કરી છે.
સોમવારે 3500 લોકોએ કોરોનાની રસી વગર જ પાછા જવું પડ્યું
અત્યાર સુધીમાં 10 લાખ લોકોએ એટલે કે 22 ટકા વસ્તીએ જ બે ડોઝ બાદ પ્રિકોશન ડોઝ લીધો છે. અમદાવાદમાં એ સ્થિતિ છે કે જ્યાં એક દિવસમાં 300 લોકો વેક્સિન લેતા હતા, તેની સરખામણીએ છેલ્લા ત્રણથી ચાર દિવસમાં 3500 જેટલા નાગરિકો વેક્સિન લેવા માટે પહોંચી રહ્યા છે. જેનું કારણ અન્ય દેશોમાં કોરોનાના વધતા કેસોને જણાવવામાં આવી રહ્યું છે.
અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓને DEOએ આપ્યો કડક આદેશ
અમદાવાદમાં કોરોનાની સંભવિત લહેરને લઈ તંત્ર હરકતમાં છે. આ દરમ્યાન હવે અમદાવાદ જિલ્લાની શાળાઓમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. અમદાવાદ DEO દ્વારા સ્કૂલોને કડક સૂચના આપી તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માસ્ક પહેરે તેવું કહેવામાં આવ્યું છે. આ સાથે ટોળા ભેગા ન થાય તે સ્કૂલોએ ધ્યાન આપવું અને શક્ય હોય તો મોટો કોઈ કાર્યક્રમ સ્કૂલના ન યોજવા પણ કહ્યું છે.
32 હજાર પ્રા.શાળાઓ કોવિડ ગાઇડ લાઇનનુ પાલન કરાશે
આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, રાજ્યની 32 હજાર પ્રા.શાળાઓ કોવિડ ગાઇડ લાઇનનુ પાલન કરાશે. જેને લઈ રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ મૌખિક સૂચના આપી છે. આ સાથે જિલ્લાવાર શિક્ષણાધિકારી ગાઇડ લાઇનની અમલવારી માટે પરિપત્ર કરશે. જેને લઈ હવે માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડીસ્ટન્સનુ પાલન કરાવાશે.