મોંઘવારીના ધગધગતા ડામથી ફરસાણ અને મીઠાઇ મોંઘા થયા છે. છતાં પણ દશેરા પૂર્વે દુકાનમાં એડવાંન્સ ઓર્ડર કરવામાં આવી રહ્યા છે.
વડોદરામા દશેરા પૂર્વે જ ફાફડા જલેબીની ખરીદી કરતા લોકો
મીઠાઈ- ફરસાણના ભાવ 20 થી 30 ટકા સુધી વધ્યા
તેલના ભાવવધારાને લઇને ફરસાણ, મીઠાઇ બન્યા મોંઘા
આસુરી શક્તિ પર શૂરી શક્તિના વિજયી પરંપરાને વધાવતું પર્વ એટલે વિજયાદશમી. આ પર્વએ આત્મશુદ્ધિનું મહાપર્વ છે. જેની આવતીકાલે રાજ્ય સહીત દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ દરમિયાન તમામ શહેરોમાં મીઠાઈ, ફરસાણ આરોગી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેથી ફરસાણના વેપારીઓને ત્યાં ફાફડા જલેબીની ખરીદી માટે ભીડ ઉમટતી હોય છે. તેવામાં આ વર્ષે મોંઘવારીનો ડામ લાગતા ગત વર્ષની સરખામણીએ મીઠાઈ- ફરસાણના ભાવ 20 થી 30 ટકા સુધીના વધ્યા છે.
મીઠાઈ ખરીદવા લોકોની પડાપડી
તેલના ભાવમાં વધારો થતાં ભાવ વધ્યા છે. હાલ બજારમાં ફાફડા 650થી 800 અને જલેબી 700થી 960ના કિલોના ભાવમાં વેચાઈ રહી છે. બીજી તરફ અમદાવાદમાં ફાફડા-જલેબીમાં ભાવ વધારો હોવા છતા અત્યારથી જ લોકો લાઇનમાં લાગી ગયા છે. બીજી બાજુ રાજકોટમાં પણ વિજયાદશમી પહેલા મીઠાઈ ખરીદવા લોકોની પડાપડી થઇ રહી છે અને વિજયાદશમી નિમિતે બજારમાં પણ અવનવી મીઠાઈ આવી ગઇ છે. રાજકોટની બજારમાં 500 રૂપિયાથી માંડીને 10 હાજર સુધીની મીઠાઈ વહેંચાઈ રહી છે. ડેરીમાં મીઠાઈ ખરીદવા લોકોની જબરી ભીડ જામી છે.
લોકો એડવાન્સમાં આપી રહ્યા છે ઓર્ડર
વડોદરામાં પણ દશેરાને લઇ વેપારીઓ ફાફડા જલેબી બનાવવામાં જોતરાયા છે. તો વડોદરામાં ફાફડા જલેબીમાં ચાલુ વર્ષે એક કિલોએ 30 રૂપિયાનો વધારો થયો છે. ફાફડાનો એક કિલોના 480 રૂ,જ્યારે ઘીની જલેબી એક કિલોના 560 માં વેચાઈ રહી છે. આવતીકાલે વડોદરા શહેરમાં કરોડો રૂપિયાના ફાફડા જલેબી લોકો આરોગશે. જેને લઇને લોકો દુકાને કાલ માટે એડવાન્સમાં પણ ઓર્ડર આપી રહ્યા છે.
જામનગરમાં વિજયા દશમી મહોત્સવની ઉજવણી કરાશે
વધુમાં જામનગર સિંધી સમાજ દ્વારા આવતીકાલે રાવણ દહન સાથે વિજયા દશમી પર્વની ઉજવણી કરવામાં આવશે . જામનગરના હિરજી મિસ્ત્રી રોડ ખાતે પ્રણામી શાળા પાસેના મેદાનમાં રાહવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં સિંધી સમાજ દ્વારા પરંપરાગત રીતે નવરાત્રી પર્વની ઉજવણી કર્યા બાદ આવતીકાલે વિજયા દશમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે રાવણ દહનનો કાર્યક્રમ પ્રદર્શન ગ્રાઉન્ડના બદલે પ્રણામી શાળા પાસેના મેદાનમાં આયોજન કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ શહેરના નાનકપુરી ખાતેથી રામસવારી યાત્રાનો પ્રારંભ થશે . જે પવનચક્કી , હવાઇ ચોક , બર્ધનચોક , ચાંદીબજાર સહિતના શહેરના રાજમાર્ગો પર થઇ પ્રણામી ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થશે . જ્યાં રાવણ દહન કાર્યક્રમ યોજાશે.
સુરતમાં પણ રાવણદહનનું આયોજન
ઉપરાંત સુરતમાં પણ રાવણદહનનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. રામલીલા સમિતિ દ્વારા રાવણ દહનની તૈયારીને આખરી ઑપ આપવામાં આવી રહ્યો છે. આવતીકાલે વેસુ VIP રોડ ખાતે રાવણ દહન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્ષો બાદ સુરતમાં સફેદ ગુલાબી અને બ્લૂ રંગનો રાવણ બનાવાયો છે. જેનું રામલીલા સમિતિ દ્વારા દહન કરવામાં આવશે.