રામોલમાં બે દુશ્મનો સામસામે આવી જતાં એકબીજા પર હુમલો કર્યો,દાણીલીમડામાં પિતા પુત્રએ પણ અંગત અદાવતાંઆ એક વ્યક્તિનું ઢીમ ઢાળી દીધું
અમદાવાદમાં માથાભારે શખ્સોને પોલીસનો ડર નથી રહ્યો ?
રામોલમાં લાકડી અને છરી લઈ સામ સામે આવી જતાં 1 નું મોત
દાણીલીમડામાં ધારદાર હથિયારો લઈ પિતા પુત્રએ સરાજાહેર કરી હત્યા
અમદાવાદમાં હજારોની સંખ્યામાં પોલીસ ફોર્સ હોવા છતાંય શહેરને ગુનેગારોનું ગ્રહણ લાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી ગુનાખોરીની ઘટના અટકવાનું નામ લઈ રહી નથી. જન્માષ્ટમીમાં અમદાવાદીઓ કૃષ્ણનાં જન્મની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે શહેરના રામોલ વિસ્તારમાં એક યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. જૂની અદાવતમાં બે યુવકે સામસામે બબાલ કરી હતી, જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું.
રામોલમાં અંગત અદાવતમાં કરાઇ હત્યા
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રામોલ વિસ્તારમાં આવેલા રામરાજ્ય નગરમાં રહેતા નિખિલેશ યાદવની ગઇ કાલે મોડી રાત્રે અજ્જુ ખટિક નામના યુવકે ઘાતકી હત્યા કરી દીધી છે. નિખિલેશ યાદવ અને અજ્જુ ખટિક વચ્ચે છેલ્લા ઘણા સમયથી બબાલ ચાલી રહી છે જેની અદાવત રાખીને મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. અજ્જુ અને નિખિલેશ રામરાજ્યનગરમાં રહે છે પહેલાં બંને વચ્ચે બબાલ થતાં પોલીસ ફરિયાદ થઇ હતી. ગઇ કાલે મોડી રાત્રે નિખિલેશ અને અજ્જુ સામસામે નીકળ્યા હતા ત્યારે બંને જણા એકબીજાના લોહીના પ્યાસા હોય તેવી રીતે તૂટી પડ્યા હતા. નિખિલેશ પાસે લાકડી હોવાથી તેણે પહેલાં અજ્જુ પર લાકડીથી પ્રહાર કર્યો હતો. અજ્જુ પાસે પણ છરી હોવાથી તેણે છરી કાઢીને નિખિલેશને મારી દીધી હતી. વસ્ત્રાલ વિસ્તારમાં અમરનાથ સોસાયટીની બહાર બનેલી આ ઘટનામાં અજ્જુએ નિખિલેશને ઉપરાછાપરી ચારથી પાંચ છરીના ઘા ઝીંકી દીધા હતા. છરીના ઘા વાગતાની સાથે નિખિલેશ જમીન પર ઢળી પડ્યો હતો અને એમ્બ્યુલન્સ આવે તે પહેલાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું. અજ્જુ ત્યાંથી નાસી ગયો હતો જ્યારે રામોલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી જ્યા નિખિલેશની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. રામોલ પોલીસે અજ્જુ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને તેની ધરપકડ કરી છે.
શહેરના દાણીલીમડા વિસ્તારમાં થોડાક દિવસ પહેલા થયેલા એક યુવક પર જીવલેણ હુમલાના કેસમાં ગઇ કાલે તેનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. જૂની અદાવતને ઘ્યાનમાં રાખીને પિતા અને ત્રણ પુત્રએ ભેગા મળીને યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં તેનું ગઇ કાલે સારવાર દરમિયાન મોત થયું છે.
દાણીલીમડામાં પિતા પુત્રએ એક વ્યક્તિનું ઢીમ ઢાળી દીધું
દાણીલીમડા વિસ્તારમાં રહેતા સંજુ છીપા તેમના પુત્ર રાજા, તૌસિફ અને ફઇમ વિરુદ્ધ હત્યાનો ગુનો દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. સંજુ છીપા અને તેમના પુત્રોએ ભેગા મળીને દાણીલીમડા વિસ્તારમાં રહેતા આસિફ નીલગર ઉપર હુમલો કર્યો હતો. સંજુ છીપા અને આસિફ નીલગર વચ્ચે જૂની અદાવત હોવાથી બંને જણા અામને સામને આવી ગયા હતા જ્યાં જીવલેણ હુમલો થયો હતો. આસિફ પર હથિયારો વડે હુમલો થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દાણીલીમડા પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી ત્યારે ગઇ કાલે આસિફનું સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરીને આરોપીઓને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યાં છે.