અમદાવાદના ઈન્કમટેક્સ બ્રિજમાં મોટી બેદરકારી સામે આવી છે. બ્રિજ નીચે ગાંધીજીની પ્રતિમા પર બ્રિજ પરથી પાણીનો ધોધ પડી રહ્યો છે. 15 દિવસ પહેલા જ આ બ્રિજનું લોકાર્પણ કરાયું છે. જ્યારે વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે.
60 કરોડના ખર્ચે બનેલા ઈન્કમટેક્સ ઓવરબ્રિજનું 3 જુલાઈએ ઉદઘાટન થયું હતું. આ બ્રિજની બનાવટમાં ખામીને કારણે સોમવારે સાંજે પડેલા વરસાદ પછી બે બ્રિજ વચ્ચેની ફાટમાંથી પાણીનો ધધૂડો સીધો ગાંધીજીની પ્રતિમાના માથા પર પડે છે. જેના કારણે ગાંધીજીની ગરિમાને ઝાંખપ લાગે છે.
આ પ્રતિમા ઈન્કમટેક્સથી ખસેડવા મુદ્દે અગાઉ લાંબો વિવાદ ચાલ્યો હતો. એક તબક્કે તો ગાંધી બાપુની પ્રતિમા વાડજ લઈ જવાની વિચારણા હાથ ધરાઈ હતી. અંતે પ્રતિમા ત્યાં જ રાખવાનો નિર્ણય કરાયો હતો, પરંતુ પૂરતી દરકાર નહીં લેવાતા વરસાદમાં આ સ્થિતિ સર્જાઈ હતી.