આવકવેરા વિભાગે મંગળવારે વહેલી સવારથી જ રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલા બે બિલ્ડર ગ્રૂપ પર સપાટો બોલાવ્યો હતો. થલતેજ-શીલજ વિસ્તારના જાણીતા બિલ્ડર અજય શ્રીધર અને મારુતિ ગ્રૂપ સહિત એચઓએફ (હાઉસ ઓફ ફર્નિચર) ફર્નિચરના શો-રૂમ પર ગાંધીનગર ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે અજય શ્રીધરના બંગલાના બાથરૂમની છતમાંથી 40 લાખની કિંમત ધરાવતા દાગીના મળી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સતત બે દિવસ સુધી ચાલેલા સર્ચ દરમિયાન ચારેય બિલ્ડરોને ત્યાંથી 3 કરોડ રોકડા અને 2 કરોડની જ્વેલરી તથા 20 જેટલા લોકર મળી આવ્યા છે. જો કે, શ્રીધરના બંગલામાં રહેલા બાથરૂમની તપાસ કરતા અધિકારીઓને એક ચાવી મળી આવી હતી. જે છતમાં રહેલા લોકર ખોલવા માટે વપરાતી હતી.
બાથરૂમની છતના લોકરમાંથી મળ્યું 40 તોલા સોનું
નોંધનીય છે કે, બાથરૂમમાં મુકવામાં આવેલી ચાવીથી આવકવેરા વિભાગ લોકર સુધી પહોંચ્યું હતું. સીલિંગ ખોલીને લોકર ખોલતાં તેમાંથી અંદાજે 35થી 40 લાખ રૂપિયાની જ્વેલરી મળી આવી હતી. આ જોઇને દરોડા પાડનારા અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.
સર્ચ ઓપરેશનમાં 24 ટીમ જોડાઇ
થલતેજ અને શીલજમાં શ્રીધર ગ્રૂપની અનેક સ્કીમ છે. અંદાજે ત્રણ ગ્રૂપમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં 24 ટીમ જોડાઈ છે. ફર્નિચર બનાવતા િસંધુ ભવન રોડ પર આવેલ એચઓએફ શો-રૂમ પર શો-રૂમ ખૂલ્યાના સમયે જ ટીમે તપાસ હાથ ધરી હતી.
કરોડોની જમીન ખરીદ્યા બાદ દરોડા!
એવું માનવામાં આવી રહ્યું છે કે, શ્રીધર ડેવલપરના માલિક અજય શ્રીધરે SP રિંગ રોડ પર અંદાજે રૂ.250 કરોડમાં જમીન ખરીદી હતી. ત્યારબાદથી જ શ્રીધર પર આયકર વિભાગની નજર પડી હોવાની આશંકા દર્શાવાઇ રહી છે. 30 સ્થળે સાગમટે પાડવામાં આવેલા દરોડા દરમિયાન જંગી રોકડ, સોનાના દાગીના, લોકર, જમીનના ખરીદ-વેચાણના દસ્તાવેજો, બે નંબરના હિસાબી ચોપડા તેમજ ડિજિટલ ડેટા જપ્ત કરાયો છે.
અજય શ્રીધરને આલિશાન બંગલો છે
અજય શ્રીધર અમદાવાદનો ખ્યાતનામ બિલ્ડર છે. અજય શ્રીધરનું ઘર થલતેજ ખાતે અને ઓફિસ શીલજમાં આવેલી છે. અજય શ્રીધર બિલ્ડર લોબીમાં ખુબ મોટું માથું છે. અને ફ્લેટ અને ઓફિસોની ઈટાલીયન ડિઝાઈનને કારણે ખુબ પ્રસિદ્ધ. થલતેજમાં આવેલો તેનો બંગલો વાઈટ બંગલો તરીકે ઓળખાય છે અને અમદાવાદના શ્રેષ્ઠ આર્કિટેક પ્લાનિંગમાં આ બંગલો છે. આ ઉપરાંત તેની ઓફિસ શીલજમાં એસ.પી.રિંગ રોડ પર આવેલી છે.