આયકર વિભાગે મંગળવારે વહેલી સવારથી જ રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલા બે બિલ્ડર ગ્રૂપ પર સપાટો બોલાવ્યો હતો. થલતેજ-શીલજ વિસ્તારના જાણીતા બિલ્ડર અજય શ્રીધર અને મારુતિ ગ્રૂપ સહિત એચઓએફ (હાઉસ ઓફ ફર્નિચર) ફર્નિચરના શો-રૂમ પર ગાંધીનગર ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે અજય શ્રીધરને ત્યાંથી બેનામી સંપત્તિ જપ્ત થઇ છે.
અમદાવાદમાં આવકવેરા વિભાગના દરોડાનો મામલો
અજય શ્રીધર બિલ્ડર્સને ત્યાંથી 20 લોકર મળ્યા
કુલ 3 કરોડની રોકડ અને દસ્તાવેજ જપ્ત
અમદાવાદના જાણીતા બિલ્ડર અજય શ્રીધર પર આવકવેરા વિભાગે સકંજો કસ્યો છે. આવકવેરા વિભાગે શ્રીધર બિલ્ડર્સના બેનામી 3 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. તપાસમાં અધિકારીઓને 20 લોકર મળ્યા હતા. જેમાંથી રોકડા રૂપિયા અને કેટલાક મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. આ ઉપારાંત આવકવેરા વિભાગે શ્રીધર બિલ્ડરના પાર્ટનર પણ સકંજો કસ્યો છે. શ્રીધરના પાર્ટનર પાસેથી પણ બેનામી 1 કરોડ 16 લાખ રૂપિયા રોકડા અને માટા જથ્થામાં સોનાના ઘરેણાં મળ્યા છે. હાલ પોલીસે તમામ રોકડ રકમ, દસ્તાવેજ અને ઘરેણાં જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે. તપાસમાં હજુ કેટલીક બેનામી સંપત્તી બહાર આવે તેવી શક્યતા છે.
મંગળવારે આવકવેરા વિભાગના પ૦થી વધુ અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. શ્રીધર ગ્રૂપની મિલકત સહિત જમીનના દસ્તાવેજો, રોકડ અને અન્ય મિલકતોની તપાસ અજય શ્રીધર અને તેમના પરિવારની હાજરીમાં તેમના નિવાસસ્થાને થઈ રહી છે. આ ગ્રૂપ દ્વારા બનાવવામાં આવેલી શાળા પર પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. જમીનના એક મોટા સોદાના પગલે આ તપાસ શરૂ થઈ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
સર્ચ ઓપરેશનમાં 24 ટીમ જોડાઇ
થલતેજ અને શીલજમાં શ્રીધર ગ્રૂપની અનેક સ્કીમ છે. અંદાજે ત્રણ ગ્રૂપમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં 24 ટીમ જોડાઈ છે. ફર્નિચર બનાવતા િસંધુ ભવન રોડ પર આવેલ એચઓએફ શો-રૂમ પર શો-રૂમ ખૂલ્યાના સમયે જ ટીમે તપાસ હાથ ધરી હતી.
કરોડોની જમીન ખરીદ્યા બાદ દરોડા!
એવું માનવામાં આવી રહ્યું છે કે, શ્રીધર ડેવલપરના માલિક અજય શ્રીધરે SP રિંગ રોડ પર અંદાજે રૂ.250 કરોડમાં જમીન ખરીદી હતી. ત્યારબાદથી જ શ્રીધર પર આયકર વિભાગની નજર પડી હોવાની આશંકા દર્શાવાઇ રહી છે. 30 સ્થળે સાગમટે પાડવામાં આવેલા દરોડા દરમિયાન જંગી રોકડ, સોનાના દાગીના, લોકર, જમીનના ખરીદ-વેચાણના દસ્તાવેજો, બે નંબરના હિસાબી ચોપડા તેમજ ડિજિટલ ડેટા જપ્ત કરાયો છે.
અજય શ્રીધરને આલિશાન બંગલો છે
અજય શ્રીધર અમદાવાદનો ખ્યાતનામ બિલ્ડર છે. અજય શ્રીધરનું ઘર થલતેજ ખાતે અને ઓફિસ શીલજમાં આવેલી છે. અજય શ્રીધર બિલ્ડર લોબીમાં ખુબ મોટું માથું છે. અને ફ્લેટ અને ઓફિસોની ઈટાલીયન ડિઝાઈનને કારણે ખુબ પ્રસિદ્ધ. થલતેજમાં આવેલો તેનો બંગલો વાઈટ બંગલો તરીકે ઓળખાય છે અને અમદાવાદના શ્રેષ્ઠ આર્કિટેક પ્લાનિંગમાં આ બંગલો છે. આ ઉપરાંત તેની ઓફિસ શીલજમાં એસ.પી.રિંગ રોડ પર આવેલી છે.
મહત્વનું છે કે, અજય શ્રીધર અને સૂર્યમ બિલ્ડર ગ્રૂપના તેમના ભાગીદારો શરદ પટેલ, ઘનશ્યામ પટેલ અને હાઉસ ઓફ ફર્નિચર (એચઓએફ)ના રાજેશ પટેલની ઓફિસો તેમજ નિવાસસ્થાનો મળીને 30 સ્થળે દરોડા પાડ્યા હતા.