1 એપ્રિલ, 2020થી નવા નાણાકીય વર્ષમાં ઘણાં નિયમો બદલવામાં આવશે. તાજેતરમાં જ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને દેશનું સામાન્ય બજેટ રજૂ કરતી વખતે નવા ટેક્સ સિસ્ટમની ઘોષણા કરી હતી. નવા નાણાકીય વર્ષમાં પ્રવેશતા પહેલાં તમારે આ નિયમો વિશે જાણી લેવું જોઈએ. તો ચાલો જાણીએ કે 1 એપ્રિલ, 2020થી કયા નિયમો બદલવા જઈ રહ્યા છે
1 એપ્રિલ, 2020થી નવા નાણાકીય વર્ષમાં ઘણાં નિયમો બદલાશે
ટેક્સ સિસ્ટમમાં ફેરફાર થતાં તમારા ખિસ્સા પર વધશે ભાર
વિદેશ યાત્રામાં થશે આવા ફેરફાર
Pan-Aadhaar લિંક
જો તમે હજી સુધી તમારો પાન આધાર સાથે લિંક કર્યો નથી, તો જલ્દી કરી લેજો. આવકવેરાના નિયમો હેઠળ, 31 માર્ચ 2020 સુધી લિંક ન કરાયેલા પાનકાર્ડ 1 એપ્રિલથી અમાન્ય થઈ જશે. પાન અને આધાર લિંક ન કરાવવા પર તમને ઘણી પરેશાનીઓ થઈ શકે છે. તમારા ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન અટકી શકે છે. ઉપરાંત, તમે ઈન્કમ ટેક્સ રીટર્ન પણ ફાઇલ કરી શકશો નહીં.
નવી ટેક્સ સિસ્ટમ આવશે
1 એપ્રિલ 2020થી, બજેટમાં નવી ટેક્સ સિસ્ટમને લાગુ કરવામાં આવશે. નવી ટેક્સ સિસ્ટમમાં ખાસ બાબત એ છે કે કરદાતા જૂના ટેક્સ સ્લેબથી નવા સ્લેબમાં જઈ શકે છે. જોકે, આ એક સંપૂર્ણ વૈકલ્પિક સિસ્ટમ હશે. કર્મચારીઓએ તેમની ઓફિસમાં કહેવું પડશે કે તેઓ કયા સ્લેબમાં રહેવા માગે છે. કર્મચારી દર નાણાકીય વર્ષે ટેક્સ સ્લેબ સ્વિચ કરી શકે છે. જેમને પગાર, ભાડા અથવા અન્ય સ્રોતથી આવક છે, તેઓ દર વખતે ટેક્સ સ્લેબ બદલી શકે છે.
વિદેશ યાત્રા પર લાગશે TCS
દેશમાં આવકવેરો ભરનારા લોકોની સંખ્યા ઓછી છે. ઉપરાંત, મોંઘી કાર ખરીદવા અને વિદેશ મુસાફરી કરનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે. જેથી હવે સરકાર એવા લોકો પર લગામ લગાવવાની તૈયારી કરી રહી છે કે જે આવકવેરો ભરતા નથી અને બેફામ પૈસા ખર્ચ કરે છે. 1 એપ્રિલથી કેન્દ્ર સરકાર વિદેશી પ્રવાસના કુલ પેકેજ પર ટીસીએસ લાદશે. વિદેશી પ્રવાસના પેકેજો પરનો કર સરકારી તિજોરીમાં ઘણાં પૈસા લાવી શકે છે. નાણાકીય વર્ષ 2020-21ના પ્રારંભથી વિદેશ યાત્રા પર પાંચ ટકા ટેક્સ ચૂકવવો પડી શકે છે.
નવું GST ફોર્મ આવશે
જીએસટી ફોર્મ ભરવા માટે 1 એપ્રિલથી નવું જીએસટી ફોર્મ મળશે. કેન્દ્ર સરકારે જીએસટી કાઉન્સિલને અનૌપચારિક રીતે દર વર્ષે ત્રણ વાર નહીં પણ વર્ષમાં એક વખત ટેક્સના દરમાં ફેરફાર કરવાની દરખાસ્ત કરી છે, કારણ કે વર્તમાન સિસ્ટમ સરકાર અને વ્યવસાય બંનેમાં થોડી અનિશ્ચિતતા પેદા કરે છે.
BS-6 વાહન જ વેચાશે
1 એપ્રિલથી દેશમાં ફક્ત બીએસ -6 સ્ટાન્ડર્ડ વાહનો વેચવામાં આવશે. 31 માર્ચ 2020 પછી બીએસ-4 સ્ટાન્ડર્ડના નવા વાહનોનું વેચાણ બંધ થઈ જશે. ઓટો સેક્ટરમાં માંગ ઓછી થતાં ડીલર્સ માટે 31 માર્ચ 2020 સુધીમાં બાકી રહેલા બીએસ-4 સ્ટાન્ડર્ડવાળા વાહનોનો સ્ટોક સંપૂર્ણ રીતે વેચવો મુશ્કેલ છે.