કોરોના સંક્રમણ અટકાવવા કેન્દ્ર સરકાર તથા વિવિધ રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લોકડાઉનના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં નાગરિકોને મોટર વિહિકલ એક્ટ-૧૯૮૮ તથા તેના નિયમો હેઠળના દસ્તાવેજોની વેલિડિટી બાબતે ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા એડ્વાઇઝરી ઈશ્યૂ કરવામાં આવી છે.
તે મુજબ વાહનના ફિટનેસ, પરમિટ (તમામ પ્રકાર), લર્નિંગ લાયસન્સ, ડ્રાઇવિંગ લાઈસન્સ, રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ અથવા મોટર વિહિકલ એક્ટ-૧૯૮૮ તથા તેના નિયમો હેઠળના તમામ દસ્તાવેજોની વેલિડિટી તા.૩૦મી સપ્ટેમ્બર સુધી માન્ય ગણવામાં આવશે.
જે અંતર્ગત તા. ૧લી ફેબ્રુઆરી-૨૦૨૦ના રોજ પૂરી થતી હોય અથવા તા. ૩૦મી સપ્ટેમ્બર-૨૦૨૦ સુધીમાં પૂરી થનાર હોય તેવા દસ્તાવેજોને તા.૩૦મી સપ્ટેમ્બર-૨૦૨૦ સુધી માન્ય ગણવામાં આવશે. આ બાબતની જાણ પોલીસ તથા આરટીઓ અને એઆરટીઓને કરવામાં આવી હોવાનું વાહન વ્યવહાર કમિશનર દ્વારા જણાવાયું છે એટલું જ નહીં રાજ્ય સરકાર હવે ટેક્સ, રિન્યુઅલ, પેનલ્ટી વગેરે પર છૂટ આપવા માટે પણ વિચારણા કરી રહી હોવાનું જાણવા મળે છે. જેમનાં ડોક્યુમેન્ટની વેલિડિટી ખતમ થઇ ચૂકી છે તેવા લોકોને આ નિર્ણયના કારણે રાહત મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૩૦ માર્ચના રોજ આ દસ્તાવેજોની મુદ્દત ૩૦ જૂન સુધી વધારવામાં આવી હતી. ૩૦ માર્ચે જાહેર કરાયેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે ૧ ફેબ્રુઆરી ૨૦૨૦થી ૩૧ મે, ૨૦૨૦ દરમિયાન એક્સપાયર થઇ રહેલાં વાહનોના દસ્તાવેજોની મુદ્દત ૩૦ જૂન સુધી વધારવામાં આવી છે.
૨૫ માર્ચના રોજ સરકારે લોકડાઉનની જાહેરાત કર્યા પછી ૩૦ માર્ચે આ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. કોરોના મહામારીને પગલે ૨૫ માર્ચથી તમામ સરકારી ઓફિસો અને બિન આવશ્યક સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.જેના કારણે લોકો તેમના વાહન સંબંધિત કોઈ કામગીરી કરી શક્યા ન હતા.