વીરમગામ ટાઉન પોલીસના ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ પર પાંચ શખ્સો દ્વારા છરી વડે હુમલો કરી યુનિફોર્મ ફાડી નાખીને હત્યા કરવાની કોશિશ કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
આ બનાવને લઇ ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલે વીરમગામ નગરપાલિકાના કાઉન્સીલર દિલીપ કાઠીના બે ભાઇ અને પુત્ર સહિત પાંચ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ગિરવતસિંહ વાઘેલા વીરમગામ ટાઉન પોલીસના ટ્રાફિક વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેઓ નિત્ય ક્રમ મુજબ અંબાજી મંદિર પાસે ફરજ બજાવતા હતા તે દરમિયાન એક ટુવ્હીલર અડચણ થાય તે રીતે રસ્તામાં પડ્યું હતું, જેથી ગિરવતસિંહે એક્સેસચાલકને હટાવવા માટે કહ્યું હતું, જેના કારણે તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ગિરવતસિંહ સાથે બોલાચાલી કરતાં તેનું ટુવ્હીલર જપ્ત કરીને દંડ ભરવા માટે કહેવામાં આવ્યું હતું.
જોકે ગુસ્સે ભરાયેલા ચાલકે બીજા ચાર શખ્સને બોલાવી લઇને ગિરવતસિંહને કહ્યું હતું કે તમારી હિંમત કેમ થઇ, આજે તમને પૂરા જ કરી દેવા છે. આમ કહીને છરી વડે હુમલો કર્યો હતો. ગિરવતસિંહને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા અને ગિરિવતસિંહે પહેરેલ યુનિફોર્મ ફાડી નાખીને તેમના શર્ટનાં બટન તોડી નાખી તેમના પર ઘાતકી હુમલો કર્યો હતો.
આ ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગિરિવતસિંહ લોહીલુહાણ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગિરિવતસિંહે પાંચ શખ્સ વિરુદ્ધમાં આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે શિવરાજ કાઠી, અજયભાઇ કાઠી, મહેબૂબખાન કુરેશીની અટકાયત કરી હતી, જ્યારે મનુભાઈ કાઠી અને મહાવીર ફરાર થઇ જતાં પોલીસે શોધખોળ શરૂ કરી છે.