લગ્ન બાદથી જ સસરા દ્વારા તેના ઉપર ખરાબ દાનત રાખીને તે જ્યારે ઘરે એકલી હોય ત્યારે શારીરિક અડપલા કરવામાં આવતા હતા. જેની તેના પતિને તેણીએ જાણ કરી હતી.
અમદાવાદ સસરાએ પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના
પરિણીતાને મારમારીને કોઈને ન કહેવાની આપી હતી ધમકી
પીડિતાએ સમગ્ર મામલે નારણપુરા પોલીસમાં કરી ફરિયાદ
પોલીસે આરોપી પરિવાર સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથધરી
અમદાવાદમાં સસરા અને પુત્રવધુનાં સંબંધોનો દાગ લગાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 74 વર્ષના વૃધ્ધે દીકરી સમાન પુત્રવધુ પર નજર બગાડીને દુષ્કર્મ આચર્યું. દીકરી અનાથ છે પતિને સસરાની કરતૂત વિશે જાણ કરી તો તેણે હાથ અધ્ધર કરતાં તેની પગ નીચેથી જમીન સરકી ગઈ છે. આખરે પીડિતે હવે પોલીસનો સહારો લીધો છે.
પીડિતા અનાથ હોવાનો ઉઠાવ્યો ફાયદો
અમદાવાદનાં નારણપુરા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતીને નાનપણમાં જ માતા પિતાએ તરછોડી દેતા તે મહેસાણામાં વિશ્વગ્રામ સંસ્થામાં 11 વર્ષ સુધી રહી અને વર્ષ 2012માં અમદાવાદ ખાતે આવેલ મહિપતરામ રૂપરામ આશ્રમ ખાતે આવી હતી. 2018 માં આશ્રમ દ્વારા તેના પહેલા લગ્ન ઊંઝા ખાતે રહેતા યુવક સાથે કરાવ્યા હતા, જોકે ઘર કંકાસ અને યુવતીને શારીરિક બીમારીનાં લીધે 2019 માં તેના પહેલા પતિએ તેને છુટાછેડા આપતા વર્ષ 2020 માં મહિપતરામ આશ્રમ દ્વારા ફરિયાદીનાં બીજા લગ્ન નારણપુરા ખાતે રહેતા યુવક સાથે કોર્ટ મેરેજ કરાવવામાં આવ્યા હતા.લગ્ન બાદથી જ સસરા દ્વારા તેના ઉપર ખરાબ દાનત રાખીને તે જ્યારે ઘરે એકલી હોય ત્યારે શારીરિક અડપલા કરવામાં આવતા હતા. જે બાબતની જાણ તેણે પતિને કરી પણ કરી હતી.
દુષ્કર્મ આચરી કહ્યું, કોઈને કહ્યું તો આશ્રમમાં મૂકી આવીશ
વર્ષ 2020 માં યુવતીને ગર્ભ રહેતા સાસુ-સસરા દ્વારા સમૂહ લગ્નમાં સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કરાવ્યા હતા. જે બાદ વર્ષ 2021માં એક દિવસ યુવતીનો પતિ તથા સાસુ નોકરી પર ગયા હતા, ત્યારે રસોડામાં કામ કરતા સમયે સસરાએ રસોડામાં પોતાની પાસે બેસવાનું કહેતા યુવતી સસરા પાસે બેસતા સસરાએ તેની સાથે બીભત્સ વાતો કરતા ફરિયાદી યુવતીને ન ગમતા તે પોતાના બેડરૂમમાં જઈ સુઈ રહી હતી. તે સમયે સસરાએ તેના બેડરૂમમાં જઈ તેને ઇમોશનલ કરી તેને શારીરિક અડપલા કરવાના શરૂ કર્યા હતા. યુવતીએ સ્વબચાવ કરવા માટે સસરાને એક લાફો માર્યો હતો. જોકે હેવાન સસરાએ તેનું મો દબાવી "તું મને શરીર સંબંધ નહીં બાંધવા દે, તો તને કાયમ માટે આશ્રમમાં મૂકી આવીશું" તેવી ધમકી આપી જબરદસ્તી મરજી વિરુદ્ધ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
પોલીસે હાથ ધરી કાર્યવાહી
ઘટના બાદ યુવતીનાં સાસુ નોકરી પરથી આવતા તેણે આ મામલે સાસુને જાણ કરતા તેઓએ પણ તેની સાથે મારઝુડ કરી આ બાબતની કોઈને જાણ કરીશ તો તને આશ્રમમાં મૂકી આવીશું, તે પ્રકારની ધમકી આપી હતી.જે બાદ તેણે આ ઘટનાની જાણ પતિને કરતા તેણે પણ વિશ્વાસ કર્યો ન હતો. થોડા સમય બાદ યુવતીએ દિયર-દેરાણીને આ બાબતે જાણ કરતા તેઓએ પણ વિશ્વાસ ન કરી પરિણીતાને ધમકીઓ આપી હતી. અંતે કંટાળીને પરિણીતાએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં સસરા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.