મહાશિવરાત્રી નિમીત્તે સુરસાગર ખાતે શ્રી સર્વેશ્વર મહાદેવના સાનિધ્યમાં આયોજીત સમારોહમાં મહાઆરતી સમયે એક યુવાનને ગભરામણ થતાં મોત નિપજ્યું હતું.
વડોદરાના સૂરસાગર તળાવ પાસેની ઘટના
મહાઆરતી વખતે યુવક ઢળી પડ્યો
હૃદયરોગનો હુમલો આવ્યાનું પ્રાથમિક તારણ
વડોદરામાં મહાશિવરાત્રી નિમીત્તે સુરસાગર ખાતે શ્રી સર્વેશ્વર મહાદેવના સાનિધ્યમાં મહાઆરતી આયોજીત કરવામાં આવી હતી. દરમિયાન ગત મહાઆરતીના સમયે એક યુવાનને ગભરામણ થતાં તેનું મોત નીપજ્યું હતું. મહત્વનું છે કે, આ મહાઆરતીના પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
યુવકને ગભરામણ થતા મહાઆરતી સમયે ઢળી પડ્યો હતો
સુત્રોના જણાવ્યા અનુસાર સુરસાગર ખાતે આયોજીત મહાશિવરાત્રીના સમારોહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં 38 વર્ષિય નિશીત કુમાર પુરાણી પણ સહભાગી બન્યો હતો. દરમિયાન સુરસાગર ખાતે ચાલી રહેલી મહાઆરતી સમયે નિશીતકુમાર પુરાણીને છાતીમાં દુખાવો શરૂ થતાં સ્થળ ઉપર ઢળી પડ્યો હતો. અને બેભાન થઈ ગયો હતો. મહત્વનું છે કે, મહાઆરતીના કારણે સુરસાગર ફરતે ભારે ભીડ હતી. આથી 108 એમ્બ્યુલન્સ આવી શકે તેવી કોઇ શક્યતા નહતી.
ભીડ હોવાને કારણે એમ્બ્યુલન્સ સમયસર સ્થળ પર નહતી આવી શકી
પરંતુ, જે તે સ્થળે ફરજ બજાવી રહેલી પોલીસે એમ્બ્યુલન્સની રાહ જોયા વગર પોલીસ જીપમાં બેભાન થઇ ગયેલા નિશીતકુમારને સયાજી હોસ્પિટલમાં લઈ ગઇ હતી. પરંતુ, ફરજ ઉપરના તબીબોએ નિશીતકુમારની સારવાર કરતાં પહેલાંજ તેણે મૃત જાહેર કર્યો હતો.જેથી પોલીસે મૃતક યુવાનના ખીસ્સામાં તપાસ કરતાં આધાર કાર્ડ મળી આવતા તેના નામ અને સરનામાં ઉપર પરિવારને જાણ કરી હતી. નિશીતકુમારના દુખના સમાચાર પરિવારને મળતા હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. બીજી તરફ આ બનાવ અંગે રાવપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.