ડભોઈના સાઠોદ ગામના ખેડૂત પાણી છોડવા માટે છેલ્લાં 25 દિવસથી રજૂઆત કરતા હતા, આખરે અધિકારીની પગે પડી મુરઝાતા પાકને બચાવવા વિનંતી કરી
પાણી માટે અધિકારીને પાયલાગણ
ખેતરો સૂકાય છે, પણ અમલદારી પાણીદાર
કેનોલો રિપેર કરવાની ક્યાં સુધી બહાનાબાજી?
જગતનો તાત જ્યારે લાચાર થઈ જાય છે ત્યારે તેનો આક્રોશ પણ કેટલો અહિંસક રીતે વ્યક્ત થાય છે તેનો આજે નવો પુરાવો સામે આવ્યો. વડોદરાના શાઠોદના હેમંત બારોટ નામના ખેડૂત અધિકારીને પગે પડી પાણી માટે આજીજી કરવી પડી. કેમ કે, તેમને પોતાના ખેતરનો મુરજાતો પાક બચાવો હતો પરંતુ અધિકારીઓ ટસના મસ થતા ન હતા.
જગતના તાતનો સળગ્યો પુણ્યપ્રકોપ
આ આક્રોશ સાથે પાયલાગણના દ્રશ્યો વડોદરાના શાઠોદ થી સામે આવ્યા છે. જગતનો તાત જ્યારે લાચાર થઈ જાય છે ત્યારે તેનો આક્રોશ પણ કેટલો અહિંસક રીતે વ્યક્ત થાય છે તેનો આ પુરાવો છે. હેમંત બારોટ નામના ખેડૂત અધિકારીને પગે લાગી રહ્યા છે. તેમને બીજું કંઈ નથી જોઈતું, બસ માત્ર મુરઝાતા પાકને બચાવવા માટે પાણી જોઈએ છે. વારંવાર વિનંતી છતાં ખેતરમાં પાણી ન છોડાયું તો જગતના તાતનો પુણ્યપ્રકોપ કંઈક આ રીતે સળગી ઉઠ્યો
પાક બચાવવા ખેડૂત પગે પડ્યો..!
મળતી માહિતી મુજબ, ડભોઈના સાઠોદ ગામના ખેડૂત પાણી છોડવા માટે છેલ્લાં 25 દિવસથી રજૂઆત કરતા હતા,પણ કોઈ સાંભળતું નહતું...આ તરફ દિવેલા અને કપાસના પાકને નવરાત્રી પછી પાણીની તાતી જરૂર ઊભી થઈ હતી..વારંવાર ફોન કરવા છતા અધિકારીઓ પાણી નહતા છોડતા કે ફોન પણ ઉપાડતા નહોતા..
જેણે જમીનો આપી, એને જ નથી મળતું પાણી
ખેડૂતો એક તરફ માઈનોર કેનાલમાં પાણી છોડવાની માગણી કરે છે તો બીજી તરફ અધિકારીઓ કેનાલ રિપેર ન થઈ હોવાનું રટણ કર્યા કરે છે. ત્યારે જેણે કેનાલ માટે પોતાની જમીનો આપી છે તેવા ખેડૂતોએ પાણી માટે અધિકારીઓના પગે લાગવું પડે તેના જેવી શરમજનક વાત બીજી કઈ હોઈ શકે. એટલું જ નહીં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા હોય તેવા ખેડૂતે પણ પાણી માટે અધિકારીઓને પગે પડવુ પડે તો સામાન્ય ખેડૂતો સાથે કેવો વ્યવહાર થતો હશે તે આ દ્રશ્યોથી સમજાય જાય તેમ છે.