બલિયામાં એક ખુલ્લી મીટિંગ દરમિયાન યોગી સરકારે પોલીસ તંત્રની સામે એક યુવકની હત્યા કરાઈ હોવાના મામલે મોટી કાર્યવાહી કરી છે. બનાવ ના સમયે હાજર રહેલા SDM, CO, SO અને તમામ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં અધિકારીઓની ભૂમિકા સાબિત કરવા ફોજદારી કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપી દેવાઈ છે. આ કેસમાં આરોપી નેતા સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
યુપી માં વધી રહ્યું છે ગુંડારાજ
પોલીસની સામે યુવાનની કરાઇ હતી હત્યા
યોગી સરકારે ઘણા પોલીસ કર્મીઓ સામે કરી કાર્યવાહી
બલિયામાં ગ્રામસભા દુર્જનપુર અને હનુમાનગંજની બે ક્વોટાની દુકાન ફાળવવાના મુદ્દે ગુરુવારે બપોરે પંચાયત ભવન ખાતે ખુલ્લી બેઠક યોજવામાં આવી હતી. SDM બારીયા સુરેશ પાલ, CO બારીયા ચંદ્રકેશ સિંઘ, BDO બારીયા ગજેન્દ્ર પ્રતાપસિંહ તેમજ રેવતી પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. દુકાનો માટે ચાર સ્વ-સહાય જૂથોએ અરજી કરી હતી.
બે જૂથો વચ્ચે વધ્યો હતો વિવાદ
દુર્જનપુર દુકાન માટે સર્વસંમતિ થઈ શકી નથી. તેથી મા સાયર જગદંબા સ્વયં સહાય જૂથ અને શિવ શક્તિ સ્વ સહાય જૂથ એમ બે જૂથો વચ્ચે મતદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અધિકારીઓએ કહ્યું કે, મતદાન તે લોકો દ્વારા કરવામાં આવશે, જેમની પાસે આધાર અથવા અન્ય કોઈ ઓળખકાર્ડ છે.
એક પક્ષ પાસે આધાર અને ID કાર્ડ હતું, પરંતુ બીજા પક્ષ પાસે કોઈ ID પ્રૂફ નહોતો. આ બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદ શરૂ થયો હતો. મામલો બગડતા જોઇને અધિકારીઓએ મીટિંગ મુલતવી રાખી હતી. ઘટના સ્થળે હાજર રેવતી પોલીસ એ બંને પક્ષોને સમજાવવા અને વિવાદને શાંત પાડવાના પ્રયાસ કર્યા હતા.
એક પક્ષે અધિકારીઓ પર બીજાની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો હતો
એક પક્ષે પોલીસ અધિકારીઓ ઉપર પણ તરફેણ કરવાનો આરોપ લગાવીને સૂત્રોચ્ચાર કર્યા. આ સમય દરમિયાન, અન્ય પક્ષના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જ્યારે મામલો આગળ વધ્યો ત્યારે લોકો ઇંટો અને પત્થરો લાકડીઓ સાથે આગળ વધવા લાગ્યા. દરમિયાન એક બાજુથી ફાયરિંગ શરૂ થઈ હતી. દુર્જનપુરના 46 વર્ષીય જયપ્રકાશ ઉર્ફે ગામા પાલને ચાર વાર ગોળી વાગી ગઈ હતી.
ગોળીબાર થતાંની સાથે જ અરાજકતા ફેલાઈ ગઈ હતી. લોકો જયપ્રકાશને લઈને સીએચસી સોનબરસા પહોંચ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તણાવને ધ્યાનમાં રાખીને અનેક પોલીસ મથકોની ફોર્સ ત્યા પહોંચી ગઈ હતી અને કોઈક રીતે મામલો સંભાળ્યો હતો. એવું કહેવામાં આવે છે કે ગોળીબારનો આરોપી ધારાસભ્યની નજીકનો છે.