ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નાંગલ ગામ ભગવાન રામચંદ્રના ધાર્મિક ઇતિહાસ સાથે જોડાયેલું છે. ભગવાન રામચંદ્રજી અહીં અશ્વમેઘ યજ્ઞ કર્યો હોવાનું મનાય છે.
નાંગલની રામટેકરી પર ખોદતા જ યજ્ઞની ભસ્મ નીકળે છે. જે યજ્ઞની ગવાહી સ્વરૂપે છે.આ ભસ્મનો સાધુ સંતો કપાળ પર લગાડે છે. ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક તથા વૈદિક મહત્વતા ધરાવતું આ સ્થાન સરકારની ઉપેક્ષાનો ભોગ બનતા બંજર બન્યું છે. સ્થાનિક રહીશોએ આ પવિત્ર સ્થળને બચાવવા ત્યાં એક નાનકડી દેરી બનાવી છે.
ભરૂચ જિલ્લો ભારતની પ્રાચીન ધાર્મિક અને વૈદિક સંસ્કૃતિનો સાક્ષી છે. આજે પણ જિલ્લામાં અને સ્થાનો પર ઋષિ યુગના પુરાવા અહીંથી મળે છે. પવિત્ર સલીલ નર્મદાના જળની સાથેસાથે ભારતીય સંસ્કૃતિની લોકગાથાઓ અને ધાર્મિક વાયકાઓ પણ સતત વહેતી રહી છે.
શિવપુરાણ નર્મદા પુરાણ સહિતના અનેક ધાર્મિક ગ્રંથોમાં તેના ઉલ્લેખ જોવા મળે છે. તેમાં પણ અંકલેશ્વર અને હાંસોટ વચ્ચેનો આખો પ્રદેશ તેની ગવાહી રૂપ છે.
રાવણ સાથેના યુદ્ધમાં રાવણને હરાવ્યા બાદ ઘણા આત્માઓ હણાયાતા જેના પાપના નિવારણ માટે ભગવાન રામચંદ્રજીએ તેમના ગુરુ પાસે ગયા હતા જેમણે પૃથ્વી પર કુંવારી ધરતી શોધી તેમને અસ્વમેઘ યજ્ઞ કરવા જણાવ્યું હતું.
તેના કારણે ભગવાન રામચંદ્રજી તે સમયે કુંવારી ધરતી ગણાતા આજે જ્યાં નાંગલ ગામ સ્થાપિત થયું છે તે સ્થાને સોનાનો રથ લઈને આવ્યા હતા અને નર્મદા કિનારે તેમણે અહીં અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો તેવી વાયકા છે.
આ સ્થળ આજે રામટેકરીના નામે ઓળખાય છે. આ ટેકરી પર સહેજ ખોદતાજ યજ્ઞની ભસ્મ મળી આવે છે. ભગવાન રામે યજ્ઞમાં બહુમૂલ્ય ચીજ વસ્તુ ઓની આહુતિ હોવાનું મનાય છે.
આઝાદી પહેલાના સમયમાં જ્યારે રાજાશાહી હતી ત્યારે અહીં રાજાએ આ ટેકરી પર ખોદકામ કરાવ્યું હતું. ત્યારે મસ્ત મોટા ભમરાઓ નીકળતા ખોદકામ કરતા મજૂરો ભાગી છૂટ્યા હતા અને રાજાએ ખોદકામ બંધ કરાવ્યું હતું.
૧૯૬૦માં ગુજરાત બહુદ મુંબઈ રાજ્યથી છૂટું પડ્યા બાદ પુરાતત્વ વિભાગે ૧૯૬૨ના રામટેકરી પર ખોદકામ કરાવી સંશોધન હાથધર્યું હતું. જેમાં પ્રાચીન સિક્કાઓ હાડકાઓ અને યજ્ઞમાં હોમાતી સામગ્રી મળી આવી હતી.
પુરાતત્વ વિભાગે એક ટ્રક ભરાય તેટલી સામગ્રી અહીંથી લઈ ગયું હતું. જોકે પાછળથી તેના કોઈ અહેવાલ મળતા નથી તેમ સ્થાનિક લોકોનું માનવું છે.
ભગવાન રામચંદ્રજીના અસ્તિત્વ સાથે જોડાયેલ રામટેકરી અને તેના આસપાસના વિસ્તારની સરકારે જાળવણી કરવી જોઈતી હતી અને તેમ કર્યું હોત તો ભરૂચ જિલ્લાને વધુ એક ધાર્મિક સ્થળની ભેટ મળી હોત.
પરંતુ સરકાર અને લોકોએ પણ ભારતીય પ્રાચીન સંસ્કૃતિની મહાન વિરાસત જેવા સ્થાનની ધરાર અવગણના કરતા આ આખે વિસ્તાર બંજર જેવો બની ગયો છે.
ટેકરીના કેટલાક ભાગમાં લોકોએ વસાહતો ઉભી કરી છે. જોકે રામટેકરીનો મુખ્ય હિસ્સો સચવાઇ રહેતે માટે સ્થાનિક લોકોએ ટેકરી પર એક નાનકડું મંદિર બનાવ્યું છે.