મોર શબ્દો સાંભળતા જ મધુર ગુંજ કાનમાં સંભળાવવા લાગે છે. નૃત્ય કરતા મોર, કળા કરતા મોર જોવાનો પણ એક લ્હાવો હોય છે. પરંતુ આ વિસ્તાર માટે આ લ્હાવો રોજિંદા જીવનનો એક હિસ્સો બની ગયો છે. એક તરફ શહેરો અને ગામોમાં રાષ્ટ્રીય પક્ષી મોર ધીમેધીમે લુપ્ત થઇ રહ્યા છે ત્યારે ભરૂચના કાળીતલાવડી વિસ્તારના લોકો માટે બારે માસ મોર મિત્રની જેમ નજરે પડે છે. આ વિસ્તારમાં મોરની વધુ પ્રમાણમાં વસ્તી અહિંના લોકો માટે ગૌરવની બાબત બની છે. ઘરના દરવાજા, માર્ગો અને આસપાસના વૃક્ષ મોરથી હરહંમેશ વિસ્તારની શોભા વધારતા જોવા મળે છે. મોરના મધુર વૃંદથી લોકોનો સૂરજ ઉગે છેને આથમે છે. ઇદગાહ મેદાન, ત્રણ ખુરશી, ગેલાની કુવા જેવા વૃક્ષોથી ભરપૂર ખુલ્લા નયન રમ્ય સ્થળ હોવાથી બારે માસ મોર અહીંયા વસવાટ કરી રહ્યાં છે. વનવિભાગ અને વાઈલ્ડ લાઈફના કર્મચારીઓ બારેમાસ અહિં કાર્યરત હોય છે. મોરને નાનકડી ઇજા પહોંચે તો પણ તેઓ મોરને સારવાર આપી રહ્યાં છે. આ વિસ્તારમાં વધુ પ્રમાણમાં મોર હોવાનો સ્થાનિકો ગર્વ લઇ રહ્યાં છે.