ગુલામ નબી આઝાદની સ્વતંત્રવાણીએ ફરી એકવાર કોંગ્રેસને મુશ્કેલીમાં મૂકી દિધી. લખનઉમાં એક સભા દરમિયાન કોંગ્રેસના નેતાએ માત્ર મતદારો જ નહી ઉમેદવારોને ધાર્મિક નજરે જોયા અને જનતા સમક્ષ પોતાના મનની વાત કરી. ગુલામ નબી આઝાદ મોદી સરકાર સામે અસહિષ્ણુતાનો મુદ્દો ઉઠાવવા ગયા હતા પરંતુ પોતે જ ફસાઇ ગયા.
સત્તાના સુખથી સાડા ચાર વર્ષથી દૂર કોંગ્રેસના નેતાને હવે જૂના દિવસો યાદ આવ્યા છે. ભૂતકાળના સહારે વર્તમાનને ભાંડીને ઉજ્જવળ ભવિષ્યના સપના જોતા ગુલમ નબી આઝાદ લખનઉમાં બોલવા ઉભા થયા અને મોદી સરકારની સહિષ્ણુતા પર સવાલનો ચાબખો મારી દીધો. નવાબોની નગરીથી કોંગ્રેસના ગુલામ નબીએ આઝાદ બોલ ઉચ્ચાર્યા અને કહ્યું કે દેશમાં પહેલા જેવી એકતા નથી રહી. કોંગ્રેસના નેતા જ હવે મને ચૂંટણી પ્રચાર માટે નથી બોલાવતા.
સાંસદથી લઇને મુખ્યમંત્રી અને વિરોક્ષ પક્ષના નેતા સુધીના પદને શોભાવનાર ગુલામ નબી આઝાદ પ્રખર વક્તા છે. સંસદમાં તેમના ભાષણ પર ભલે ભરપુર દાદ મળતી હોય પરંતુ લખનઉના ભાષણમાં ગુલામ નબી આઝાદ રાજકીય રીતે કરવા ગયા કંસાર અને થઇ ગઇ થુલી. ભાજપે વળતો પ્રહાર કર્યો કે ગુલામ નબી આઝાદે હિન્દુઓનું અપમાન કર્યું છે.
કોંગ્રેસ અન્ય એક આરોપમાં પણ ઘેરાઇ છે. ભાજપે વીડિયો જાહેર કરીને ખુલાસો કર્યો કે કોંગ્રેસ દ્વારા પાકિસ્તાનમાં ખોટો પ્રચાર થઇ રહ્યો છે અને એ પણ પ્રધાનમંત્રી મોદી અંગે ભાજપના દાવા પ્રમાણે કોંગ્રેસના ફેસબુક પેજ પર મુકવામાં આવેલો દેશ બચાઓ મોદી હટાઓના નારા સાથેનો એક વીડિયો પાકિસ્તાનમાં પણ દેખાય છે. એટલે ભારતના રાજકારણને લગતો વીડિયો પાડોશી દેશમાં કેમ દેખાય છે તેના સવાલથી રાજકીય માહોલ ગરમાય તેવી સંભાવના છે.