ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું બહુચરમાતાનું મંદિર સમગ્ર દુનિયામાં જાણીતું છે. આ મંદિરમાં પૂનમ કે અમાસ હોય ત્યારે ભક્તોની સખત ભીડ રહે છે. વિદેશમાં રહેતા ભારતીયોમાં ફણ ગુજરાતીઓને આ મંદિરમાં અતૂટ શ્રદ્ધા છે.
લોકોની આ મંદિરમાં ખુબ જ ઊંડી આસ્થા રહેલી છે અને તેમની આસ્થા પુરી પણ થાય છે એવું ભક્તો માને છે. બહુચરાજીમાં મોટેભાગે એવા દંપતી કે જેમને સંતાનની પ્રાપ્તિ ના થતી હોય તો તે મનોકામના પુરી કરવા અહીં આવતા હોય છે. અને તેમને બહુચરમાના આશીર્વાદથી ઘરે સંતાન સુખની પ્રાપ્તિ પણ થાય છે. આ ઉપરાંત બાળક બોલતા ના શીખે અથવા 5 વર્ષ સુધી બોલે નહીં તો એના માટે પણ લોકો બહુચર માતાના મંદિરે જીભ ચઢાવે છે જેથી એમનું બાળક બોલતું થાય છે.
આ મંદિરે કિન્નર સમુદાયના લોકો ખાસ પૂજા અને અનુષ્ઠાનનું આયોજન પણ કરતા હોય છે. એવી માન્યતા રહેલી છે કે ઘણાં દુષ્ટ રાક્ષસોના ભક્ષણ કરવાથી તેમને બહુચરાજી તરીકે ઓળખવામાં આવે છે.
બહુચરાજી કૂકડાની સવારી કરે છે. તે માટેની દંતકથા પણ રહેલી છે. કહેવાય છે કે એક વખત અલ્લાઉદ્દીન દ્વિતિય પાટણને જીતીને આ મંદિરને તોડવા માટે પોતાની સેના સાથે પહોંચી ગયો હતો અને તે સમયે દેવીના વાહન મરઘા ચરી રહ્યા હતા. ત્યારે સૈનિકોએ તે મરઘા પકડીને ખાઈ લીધા પરંતુ તેમાંથી એક મરઘો બચી ગયો હતો. પછી સવારે જ્યારે બાંગ પોકારવાનું શરૂ કર્યું તો સૈનિકોના પેટમાં રહેલા મરઘાઓ પણ બાંગ પોકારવા માંડ્યા અને પેટ ફાડીને બહાર આવી ગયા. જયારે આ જોયું તો અલ્લાઉદ્દીન અને બીજા બધા જ સિપાહી મંદિર તોડ્યા વિના જ ભાગી ગયા.
કિન્નરો શા માટે બહુચર માતાની ઉપાસના કરે છે?
આ પાછળ પણ એક પૌરાણિક કથા પ્રચલિત થયેલી છે. ગુજરાતમાં એક વાર નિઃસંતાન રાજાએ સંતાન મેળવવા માટે બહુચરમાની આરાધના કરી હતી. રાજાની આરાધના જોઇને બહુચર માતા પ્રસન્ન થયા અને રાજાને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ દીધા. આ આશીર્વાદથી રાજાના ઘરે પુત્રનો જન્મ પણ થયો પરંતુ તે નપુંસક હતો. એક દિવસ બહુચરાજી તેમના સપનામાં આવ્યા હતા અને તેને ગુપ્તાંગ સમર્પિત કરીને મુક્તિના માર્ગે આગળ જવાનું કીધું અને રાજકુમારે એવું જ કર્યું અને તેઓ માના ઉપાસક બની ગયા. આ ઘટના થયા બાદ બધા જ કિન્નરો હવે પોતાના કુળદેવી તરીકે બહુચરમાને જ પૂજે છે.