ખેડૂતોએ આજે જણાવ્યું હતું કે સરકાર સાથે MSP મુદ્દે વાતચીત ચાલુ છે, પરંતુ અમે ત્રણેય કાયદાઓ રદ્દ કરાવીને જ જંપીશું. આ સિવાય ખેડૂતોએ આઠ ડિસેમ્બરે ભારત બંધનું એલાન પણ આપ્યું છે.
મોદી સરકાર સામે ખેડૂતોની આરપારની જંગ
MSP મુદ્દે વાતચીત શરૂ, પણ કાયદા રદ્દ કરાવીશું: ખેડૂતો
દક્ષિણના રાજ્યોથી પણ ખેડૂતો દિલ્હી આવશે
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો આંદોલનને વધુ તીવ્ર બનાવવાની તૈયારી કરી રહ્યા છે. 8 ડિસેમ્બરે ખેડૂતોએ ભારત બંધ નું એલાન આપ્યું હતું. સાથે જ દેશભરમાં વડા પ્રધાન મોદીના પૂતળા દહન કરવાની પણ ખેડૂતો એ જાહેરાત કરી હતી. દિલ્હીને જોડતાં તમામ રસ્તા અને ટોલ પ્લાજા બંધ કારવવાની પણ ચીમકી આપી હતી, સાથે જ ઘણા વીર સપૂતોએ પણ મેડલ પરત કરવાની વાત કરી હતી.
હવે લડાઈ થશે, પણ પીછેહઠ નહીં થાય : ખેડૂતો
આંદોલનકારી નેતાઓએ કહ્યું કે આજે તમિલનાડુ અને કર્ણાટકમાં પણ અમારું પ્રદર્શન હતું. હવે આ ખેડૂતો એ પણ દિલ્હી આવવાનું કહ્યું હતું. તેમણે સમગ્ર દેશના ખેડૂતો ને દિલ્હી આવવા હાકલ કરી હતી. ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે હવે યુદ્ધ થશે, પીછેહઠ કોઈ પણ મુદ્દે નહીં થાય.
ખેડૂત નેતાએ કહ્યું કે કોર્પોરેટ ખેતી ખેડૂતને સ્વીકાર્ય નથી. અમે સરકારને કોઈ સમયમર્યાદા આપી નથી, અમે સરકારને જણાવી રહ્યા છીએ કે જો પરિસ્થિતિ યથાવત રહેશે તો દરેક રાજ્યમાંથી વધુ બેચ દિલ્હી લાવવામાં આવશે. હવે તો લોકોમાં પણ સરકાર વિરૂદ્ધ આક્રોશ છે. સાથે જ કર્ણાટકમાં 7 થી 15 ડિસેમ્બર સુધી વિધાનસભાની બહાર ધારણા પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી અને બંગાળમાં પણ રસ્તા રોકો આંદોલન કરવાની જાહેરાત કરી હતી.
સરકાર સાથે વાતચીત ચાલુ રહેશે
ખેડૂત નેતાઓના મત મુજબ સરકાર સાથે વાતચીત ચાલુ રહેશે, પરંતુ આંદોલન પાછો લેવાનો કોઈ જ ઇરાદો નથી, ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે કોઈ પણ સરકાર તેમના આંદોલનની સામે નહીં ટકી શકે.
નોંધનીય છે કે 5 ડિસેમ્બરે સરકાર સાથે ખેડૂત નેતાઓની વધુ એક વાતચીતનો રાઉન્ડ યોજાવા જઈ રહ્યો છે, આ અગાઉની મિટિંગ પછી કૃષિ મંત્રી તોમરે કહ્યું હતું કે ખેડૂત સંગઠનો સાથે વાતચીતમાંઅ પ્રગતિ થઈ છે, પરંતુ MSP માં કોઈ પણ પ્રકારના બદલાવની તેમણે ના પાડી હતી.