સુપ્રીમ કોર્ટે ખેડૂતોની વાત સાંભળી અંબુજા કંપનીના માઈનિંગ સામે રોક લગાવી દીધી છે, પર્યાવરણીય મંજૂરી મુદ્દે નોટિસ પાઠવી કંપની અને સરકારએ જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે
ગીર સોમનાથના લોઢવા ગામમાં ખુશીનો માહોલ
અંબુજા કંપની, રાજ્ય સરકારને SCએ ફટકારી નોટિસ
પર્યાવરણીય મંજૂરી મુદ્દે SCની ફટકાર
ગીર સોમનાથ નાં સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે આવેલી અબુંજા સિમેન્ટ કંપની ની માઇન્સ સામે સુપ્રીમ કોર્ટ રોકનો આદેશ આપતા ગ્રામજનોમાં ખુશી વ્યાપી છે.કેટલાય વર્ષો બાદની લડતને અંતે ગ્રામજનોને ન્યાય મળતા તેઓએ મો ગળ્યું કરીને વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી.
ખેડૂતો કોર્ટના શરણે ગયા હતા
ગીર સોમનાથ નાં સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે કોડીનાર સ્થિત સિમેન્ટ કંપનીને માઇનિંગ માટે પર્યાવરણીય મંજૂરી અપાતા ગામના ખેડૂતો ગ્રીન ટ્રીબ્યુનલમાં ગયા હતા.જ્યા ખેડૂતોએ હારનો સામનો કરવો પડ્યો હતો.ખેડૂતો આની સામે સુપ્રીમ કોર્ટમાં જતા ઘણા વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાં કેસ બોર્ડ ઉપર આવતા સુપ્રીમ કોર્ટ ખેડૂતોની વેદના સાંભળી લોઢવા ગામે માઈનીંગ સંદર્ભે સુપ્રીમ કોર્ટે રૂકજાવનો આદેશ આપી રાજ્ય સરકારને અને કંપનીને નોટિસ ફટકારતા લોઢવાનાં ગ્રામજનોમાં ખુશી વ્યાપી હતી.સુપ્રિમ કોર્ટના મે.જસ્ટિસ શ્રીમતી ઇન્દિરા બેનર્જી તથા મે.જસ્ટિસ જે.કે. મહેશ્વરીની સંયુક્ત બેન્ચ દ્વારા બધાજ મુદ્દાઓને ધ્યાને લઇને સને- 2016માં માઇનિંગ માટે અપાયેલ જમીન અંગે જે-તે સરકારી કચેરીઓ દ્વારા ક્લિયરન્સ સર્ટીફિકેટ આપવામાં ભૂમિકા ભજવી હોય તે તમામને તથા અંબુજા કંપનીને નોટિસ ફટકારીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
591 હેકટર જમીનમાં માઇનિંગ મંજુરી મુદ્દે નોટિસ પાઠવી
સુત્રાપાડાના લોઢવા ગામની ખેતીની જમીનમાં માઈનિંગ માટે અપાયેલી પર્યાવરણીય મંજૂરી મુદ્દે સુપ્રીમ કોર્ટએ ફટકાર આપી છે.અંબુજા કંપની સામે સુપ્રીમ કોર્ટ ખેડૂતોની અરજી ગ્રાહ્ય રાખી સુનવણી હાથ ધરી છે.અને સુનાવણી પૂર્ણ થાય ત્યાં સુધી માઇનિંગ ન કરવા રોક લગાવી કંપનીને નોટિસ ફટકારી છે.કોડીનાર સ્થિત અબુંજા સિમેન્ટ કંપનીને સુત્રાપાડા ના લોઢવા ગામ ખાતે 591 હેકટર જમીનમાં માઇનિંગ મંજુરી આપવામાં આવી હતી.જેની સામે લોઢવા ગામના ખેડૂતોએ કિસાન સંઘર્ષ સમિતિ બનાવીને સુપ્રિમ કોર્ટમાં વાંધા અરજી દાખલ કરી હતી.ખેડૂતોની આ અરજીને સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખી રાજ્ય સરકાર અને કંપનીને નોટિસ ફટકારવાનાં પગલે લોઢવા ગામનાં ખેડૂતો માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
રોક લગાવી તેનું કારણ શું?
અહીંની જમીન એકદમ ફળદ્રુપ છે.સાથે અહીં વન વિસ્તાર પણ આવેલો છે.સાથે દરિયા કિનારો પણ ખૂબ નજીક હોય જો માઇનિંગ થાય તો સમુદ્રનું પાણી આગળ વધે અને દરિયાઈ ખારાશ આગળ વધતા ફળદ્રુપ જમીન બંઝર બનવાની સંપૂર્ણ શકયતા રહેલી છે.સાથે પર્યાવરણીય અસંતુલન ઉભું થવાનો ભય સેવાઈ રહ્યો છે.ખેડૂતોની આ બાબતને ધ્યાને લઈ સુપ્રીમ કોર્ટ કંપનીને નોટિસ ફટકારતા અને ખેડૂતોની વાત સાંભળતા લોઢવા ગામના ખેડૂતો અત્યંત ખુશ થયા હતા અને ખેડૂતોએ એકબીજાનાં મોં મીઠા કરાવી ફટાકડા ફોડ્યા હતા. ખેતીવાડી અને અન્ય જમીન, વન્ય અને દરિયાઈ જીવસૃષ્ટી વગેરેને થતી વિપરીત અસરને ધ્યાનમાં નહીં લેવાયાની આ વાંધા અરજીની હવે 22મી જાન્યુઆરીએ સુનાવણી થશે.