સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાનું રાજીનામું, નવી નિમણૂક વચ્ચે ભરતસિંહ દિલ્હી ખાતે પહોંચ્યા
પ્રદેશ કોંગ્રેસના નવા હોદ્દેદારો માટે મથામણ ચાલુ
નેતાઓની પસંદગીની વાત વચ્ચે ભરતસિંહ દિલ્લીમાં
પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાની થશે નિમણૂક
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. જેને મંજૂર પણ કરી લેવાયા છે. જે બાદથી ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના નામ માટે ચર્ચાઓ વહેતી થઈ છે. ચર્ચાઓની સાથે કેટલાક નામ પણ સામે આવી રહ્યા છે.
નવા પ્રદેશ પ્રમુખની વરણી પહેલા ભરતસિંહ દિલ્હી પહોંચ્યા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા હોદ્દેદારો માટે મથામણ ચાલુ છે. આ વચ્ચે ભરતસિંહ દિલ્લી ખાતે પહોંચ્યા છે. જેને લઈ કોંગ્રેસમાં હલચલ પણ વધી ગઈ છે. પ્રદેશ પ્રમુખની રેસમાં ભરતસિંહ સોલંકીનું પણ નામ મોખરે છે. તો દિલ્હીમાં ભરતસિંહની હાજરીનું કારણ હાઈકમાંડે ચર્ચા કરવા બોલાવ્યાં હોવાની સૂત્રોનો દાવો છે.
રાજીવ સાતવથી હાઇકમાન્ડ નારાજ
ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રાજીવ સાતવ છે પરંતુ પ્રભારી રાજીવ સાતવની કામગીરી સામે સવાલો ઉભા થતાં હાઇકમાન્ડ એક્શન મોડમાં આવ્યું છે અને અશોક ગેહલોતને જવાબદારી સોંપવામાં આવે તે મુદ્દે મંથન કરવામાં આવી રહ્યું છે.