ગીર સોમનાથ જિલ્લામાં મેઘકહેર ના કારણે અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. વરસાદના વિરામ બાદ હજુ પણ અનેક ખેતરોમાં પાણી ભરેલા છે. આ ઉપરાંત જમીનોનું પણ મોટા પાયે ધોવાણ થયું છે.
ખેડૂતોનું જીવનજ ખેતી સાથે જોડાયેલું છે અને ભારે વરસાદના કારણે ખેતરો પાણી હજુ પણ ભરેલા છે જેથી પાક સાવ નિષ્ફળ ગયો છે. ખાતરબિયારણ અને ખેડૂતોની મજૂરી માથે પડી છે. ખેતી સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે ત્યારે ખેડૂતો પોતાનો આક્રોશ ઠાલવી રહયા છે.
ગીર સોમનાથના પીપળી ગામ સહિત અનેક ગામડાઓના ખેતરોમાં પાણી ભરાઈ રહેવા માટે રોડ સાઈડ ગટરો ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. રોડ ઊંચા અને ખેતરો નીચા છે.
રોડની બંને સાઈડ જો તંત્ર દ્વારા વ્યવસ્થિત ગટર બનાવવામાં આવે તો વરસાદી પાણીનો નિકાલ થઈ શકે અને ખેડૂતોનું મહામૂલું બિયારણ અને પાક બચી શકે છે.