મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇ ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બુલેટ ટ્રેનના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો જમીન આપવા માટે રાજી નથી. આ સાથે કેટલાક ખેડૂતોએ તો જમીન આપવાની ના પણ પાડી છે. આ કારણોસર નરેન્દ્ર મોદીનું સપનું સંકટમાં દેખાઈ રહ્યું છે.
આ ઉપરાંત જાપાનના કોન્સુલ જનરલે પણ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ચિંતા વ્યકત કરતા જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2023માં પૂરો કરવાનો છે. એટલે કે આપણી પાસે માત્ર પાંચ વર્ષ છે. એવામાં જો જમીનને લઈને આવા વિધ્નો વચ્ચે આવશે તો આ પ્રોજેક્ટ પાંચ વર્ષમાં પૂરો નહી થઇ શકે. જે માટે આવા વિવાદોનું જલ્દી નિવારણ લાવવું જોઈએ.
તાજેતરમાં મહારાષ્ટ્રના થાણે જીલ્લામાં ખેડૂતોએ જમીન આપવા બાબતે કલેકટર કચેરી આગળ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. અહીયાના ખેડૂતોમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇને ભારે રોષ જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રના ખેડૂતોએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇ પોતાની જમીન નહી આપે.
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ પ્રોજેક્ટમાં દિવસે-દિવસે વિરોધ પ્રદર્શન વધી રહ્યા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે પર્શ્નો ઉઠાવ્યા બાદ હવે નેતા અહમદ પટેલે પણ આ પ્રોજેક્ટ પર કેટલાક સવાલો કર્યા છે.
અહમદ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને કહ્યું હતું કે તે આ પ્રોજેક્ટના વિરોધમાં નથી પણ આ પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો અધિકાર ન છીનવતા કારણ કે ખેડૂતો પાસે એમની માત્ર આટલીજ પુંજી છે.
તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીના આ પ્રોજેક્ટ પર 108000 કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. આ બુલેટ ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે 508 કિલોમીટર પર દોડશે.