ખેડાના ઉંઢેલા ગામે આરોપીને જાહેરમાં મારવા મામલે હાઈકોર્ટે પોલીસની ઝાટકણી કાઢી છે. કોર્ટના આદેશની અવમાનના મામલે હાઈકોર્ટે ટિપ્પણી કરી છે કે, પોલીસે માનવ અધિકારોનો આદર કરવો જોઈએ.
ઉંઢેલા ગામે આરોપીને જાહેરમાં મારવાનો મામલો
ગુજરાત હાઈકોર્ટે પોલીસની કાઢી ઝાટકણી
'આ કેસ કસ્ટોડિયલ વાયલન્સનો છે: હાઇકોર્ટ
નવરાત્રી દરમિયાન ઉંઢેલા ગામમાં પથ્થરમારાની ઘટનાને લઇ પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં માર મારવા મામલે ગુજરાત હાઈકોર્ટે પોલીસની ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે પોલીસને કહ્યું કે, આ કેસ કસ્ટોડિયલ વાયલન્સનો છે. પોલીસે માનવ અધિકારોનો આદર કરવો જોઈએ. સોગંદનામું માત્ર યાંત્રિક રીતે દાખલ ન કરવું જોઈએ. મહત્વનું છે કે, જવાબદાર પોલીસકર્મીઓએ HCમાં બિનશરતી માફીનું સોગંદનામુ રજૂ કર્યું હતું.
શું છે સમગ્ર મામલો?
નવરાત્રી દરમિયાન ગુજરાતના ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં રાત્રીના ગરબા દરમિયાન કોઇ એક ટોળાંએ એકાએક પથ્થરમારો કર્યો હતો. જેમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ ગામમાં 'ભારેલા અગ્નિ' જેવી સ્થિતિ સર્જાઇ ગઇ હતી. આથી, આખુંય ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. આ ઘટનામાં પોલીસે 43 લોકો વિરુદ્ધ નામ જોગ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે 10થી 11 લોકોની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસે આરોપીઓની જાહેરમાં સરભરા કરી હતી
તદુપરાંત આ ઘટના બાદ પોલીસે આરોપીઓને ગામમાં લાવીને એક બાદ એકને થાંભલા સાથે બાંધીને તેઓની જાહેરમાં માર માર્યો હતો. મહત્વનું છે કે, પોલીસની આ કાર્યવાહી જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને ગભરાયેલા આરોપીઓ હાથ જોડીને માફી માંગી રહ્યાં હતા. ત્યાં એકત્રિત થયેલા લોકોએ વંદે માતરમ અને ભારત માતા કી જય એવા નારા લગાવીને પોલીસની કાર્યવાહીની પ્રશંસા કરી હતી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પણ નિવેદન આવ્યું હતું સામે
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરબામાં પથ્થરમારા મામલે નિવેદન આપતા કહ્યું હતું કે, 'આજકાલ માનવ અધિકાર વાળા બહુ નીકળ્યા છે. પથ્થર મારનાર માટે જ કેમ માનવ અધિકારની વાત થાય છે? શું માનવતા ફકત પથ્થર મારવાવાળા પર હોય? બધા ગરબા રમ્યા પણ કોઈને તકલીફ પડી નહીં. શું આપણે આપણા ગામ અને ચોકમાં ગરબા ન રમી શકીએ? પથ્થર મારવાવાળાઓનો કોઈ ધર્મ ન હોય. પથ્થર મારવાવાળા લોકોને માનવ અધિકાર હોય? તેનો જવાબ આપવાનો સમય આવી ગયો છે.'
ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી પિટિશન
યુવકોને જાહેરમાં માર મારવાના મામલે ઉંઢેલા ગામના લઘુમતી સમુદાયના પાંચ લોકો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. ખેડા એસપીએ આ પિટિશન કાઢી નાખવાની અપીલ કરી હતી, જેમાં 13 પોલીસકર્મીઓ વિરુદ્ધ પોલીસ કસ્ટડીમાં રહેલા વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરવો તે અંગે ડી.કે. વાસુ કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશોનો ભંગ કરવા બદલ કાર્યવાહીની માગ કરાઈ હતી.
પોલીસે જે કંઈ કર્યું તે પોતાની ફરજના ભાગરુપે કર્યુંઃ PI પરમાર
તો કન્ટેમ્પ્ટ ઓફ પ્રોસિડિંગ્સનો સામનો કરી રહેલા લોકલ ક્રાઈમ બ્રાંચના ઈન્સ્પેક્ટર એ.વી. પરમારે જણાવ્યું હતું કે, જો હાઈકોર્ટમાં પિટિશન કરનારા અરજદારોએ મૂકેલા આરોપ સાચા હોય તો પોલીસે જે કંઈ કર્યું તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અને કોમી રમખાણો થતાં અટકાવવાના ઈરાદે જ કર્યું હતું. આરોપીઓ પણ ગેરવર્તન કરી ટોળાંને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે જે કંઈ કર્યું તે પોતાની ફરજના ભાગરુપે કર્યું છે.
પોલીસ કર્મીઓએ માગી હતી માફી
આ ઉપરાંત ખેડા એસપીએ દાવો હતો કે પોલીસ આરોપીઓને તપાસ માટે ઉંઢેલા ગામમાં તપાસ માટે લઈ ગઈ ત્યારે તેમણે ગેરવર્તન કરી પોલીસ સાથે ગાળાગાળી કરી હતી. આરોપીઓએ ટોળાંને ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેથી બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. જોકે, આ તમામ 13 પોલીસકર્મીએ બિનશરતી માફી પણ માગી છે.