બનાસકાંઠામાં નર્મદા કેનાલ તો આવી છે પણ કેનાલનું પાણી ખેડૂતો સુધી પહોંચે એનાં કરતાં વેડફાટ વધુ થાય છે. કેનાલનું હલ્કી કક્ષાનું કામ અને કેનાલ નકશા પ્રમાણે કેનાલ ના બનાવતા કેનાલો ઉભરાઈ જાય છે અને જેનાં કારણે વારંવાર ગાબડાઓ પડે છે કેનાલો તૂટવાંથી ખેડૂતોની હાલાંકી વધવા લાગી છે.
બનાસકાંઠામાંથી નર્મદાની મુખ્ય કેનાલ થાય છે અને આ કેનાલમાંથી સરહદી વિસ્તારનાં ગામડાંઓ માટે ખેતી માટે પાણી આપવામાં આવે છે. જેનાં માટે માઇનોર કેનાલો બનાવવામાં આવી છે. જો કે આ માઇનોર કેનાલો 20 કિ.મીથી લાંબી કેનાલો છે. જે છેવાડે સુધી પાણી પહોંચાડવા માટે બનાવવામાં આવી છે પણ કેનાલનું પાણી છેક છેવાડે પહોંચતું નથી.
પરંતુ એનાં પેલાં પાણી રસ્તામાંજ વેડફાઇ જતું હોય છે અને કેનાલોમાં મસ મોટા ગાબડાં પડતા હોય છે. જેનું મુખ્ય કારણ કેનાલોમાં થયેલો કરોડોનો ભ્રષ્ટાચાર આને નકશા મુજબ કેનાલનું કામ નથી કરવામાં આવ્યું તે ખેડૂતોએ પોતાની કિંમતી જમીન આપી અને પોતાનાં ખેતરનાં બે ભાગ કરીને વચ્ચોવચથી માઇનોર કેનાલો પસાર કરવા આપી.
કેનાલો જ્યારે બનતી હતી ત્યારે ખેડૂતોમાં ખુબ જ ખુશી જોવા મળતી હતી. ને હવે પાણી માટે માત્ર વલખા નહીં મારવા પડે અને ખેતરમાં હવે કેનાલથી દરેક ઋતુમાં ખેતી કરી શકીશું પણ જ્યારે કેનાલો તૈયાર થઈ અને કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું ત્યારે મુર્હુતમાં જ કેનાલો છલકાવવા લાગી અમે મોટાં મોટાં ગાબડાંઓ પડવા લાગ્યાં. જેનાં કારણે ખેડૂતોની ખુશી ગમમાં ફેરવાઈ ગઈ અને ખેડૂતોનાં ખેતર સુધી પાણી પહોંચાવાની પહેલાં જ ગાબડાંઓ પાડવા લાગ્યાં.
ખેડૂતોનું કહેવું એમ છે કે જ્યારે અમારા ખેતરમાં ગાબડાંઓ પડે છે ત્યારે અમને લાખોનું નુકશાન થાય છે. એક બાજુ કેનાલનું પાણી કોઈક વાર છોડવામાં આવે છે. ત્યારે જ છોડતાંની સાથે જ મોટાં ગાબડાંઓ પડી જાય છે. જે ગાબડાને કારણે ઉભા પાકમાં ઘણું બધું નુકશાન આવે છે.
જ્યારે ગાબડાનાં રીપેર કામ માટે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને કહે છે. ત્યારે કોઈ જ સાંભળતું નથી અને પોતાનાં પાકને બચાવવા માટે ખેડૂતોએ જાતે પૈસા ઉઘરાવીને આ ગાબડાં રીપેર કરવા પડે છે જ્યારે કોઈ કોન્ટ્રાક્ટરો સામે ઉંચા અવાજે બોલે તો તે કેનાલમાં પાણી બંધ કરી દે છે અને ખેડૂતોને આવી રીતે માનસિક ત્રાસ આપવામાં આવે છે. હાલમાં તો ખેડૂતોની કેનાલોને કારણે ખુબ જ કપરી પરિસ્થતિ જોવાં મળી રહી છે.
છેવાડાનાં ગામોમાં જે કેનાલ આવેલી છે તે કેનાલો જ્યાં પૂર્ણ થાય છે ત્યાં યોગ્ય વ્યવસ્થા ના હોવાને કારણે લાખો લીટર પાણી ખેડૂતોનાં ખેતરમાં વેડફાઈ જતું હોય છે. જેનાં કારણે મોટા પ્રમાણમાં જમીનોમાં ઘૂંટણ સુધી પાણી ભરાયેલાં જ રહે છે. જેનાં કારણે ખેડૂતોનાં ખેતર બોટમાં ફેરવાઈ ગયાં છે. ખેડૂતોનું કહેવું એમ છે કે આ પાણીનો યોગ્ય નિકાલ નહીં આવે તો તેઓ આત્મવિલોપન કરવાની પણ ચીમકી આપી રહ્યાં છે.
કેટલાંક ખેડૂતોને ત્યાં પાણી પહોંચતું નથી જેનાં કારણે હાલ પણ હજારો એકર જમીનમાં વાવણી કરવામાં આવતી નથી. જેથી ખેડૂતોએ વારંવાર આવેદનો આપ્યાં અને રજૂઆતો કરી તેમ છતાં પણ યોગ્ય ન્યાય હજી સુધી મળ્યો નથી. અધિકારીઓને જ્યારે પૂછવા જાય છે પણ કોઈ યોગ્ય જવાબ મળતો નથી તેનાં કારણે ખેડુતોને વારંવાર હેરાન થવાનો વારો આવતો હોય છે.