દેશે હજી કોરોનારૂપી આફતમાંથી છૂટકારો મેળવ્યો નથી. આ આફતને લીધે લાખોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. આ એક એવો વાયરસ છે જે જીવતે જીવ માણસને ખોખલો કરી દે છે. કોરોના થાય ત્યારે શારીરિક નુકસાન તો ખરુ જ પરંતુ કોરોના નામ માત્રથી લોકોમાં એવો ડર પેસી ગયો છે કે હવે તો કોરોના જાય તો જ માણસ રાહતનો શ્વાસ લઇ શકે. પરંતુ એક એવી ઘટના સામે આવી છે કે જ્યાં કોરોનાના ડરથી પરિવારે ઝેર પીને મોતને વ્હાલુ કરવુ વધારે યોગ્ય લાગ્યુ. જી હા,જાણીને નવાઇ લાગશે પરંતુ આ સત્ય છે. કોરોનાના ડર માત્રથી માતાએ પોતાના 3 વર્ષના બાળક સાથે ઝેર પીને જીવન ટૂંકાવ્યું.
23 વર્ષની મહિલા-3 વર્ષના પુત્રનું મોત
તમિલનાડુના મદુરાઇની આ ઘટના છે. જ્યાં 23 વર્ષની પરિણીતાએ પોતાના 3 વર્ષના પુત્ર સહિત કુલ પાંચ લોકોએ ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરિણીતાનો ભાઇ અને માતા પણ સામેલ હતા. જો કે તમિલનાડુ પોલીસના જણાવ્યાનુસાર 3 લોકોના જીવ બચી ગયા છે પરંતુ મા અને પુત્રને બચાવી શકાયા નથી. મૃતક મહિલાનુ નામ જ્યોતિકા હોવાનુ સામે આવ્યુ છે. તે પોતાના પતિથી અલગ તેના પિયરે માતા સાથે રહેતી હતી.
8 તારીખે મહિલા થઇ હતી કોરોના સંક્રમિત
જોતિકાના પિતા નાગરાજનું ડિસેમ્બરમાં નિધન થયું હતું. ત્યારથી આખો પરિવાર આર્થિક દબાણનો સામનો કરી રહ્યો હતો. કહેવાય છે કે જોતિકાને 8 જાન્યુઆરીએ કોરોનાનો ચેપ લાગ્યો હતો. જ્યારે તેણે તેની માતાને આ માહિતી આપી. આનાથી તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. આ પછી પરિવારના તમામ સભ્યોએ ઝેર પી લીધું હતું.
પાડોશી દ્વારા મળી માહિતી
ઘટનાના બીજા દિવસે જ્યારે પાડોશીને વાતની જાણ થઇ ત્યારે આખો મામલો સામે આવ્યો હતો. પોલીસે તાત્કાલિક તમામ બીમારોને હોસ્પિટલ લઈ ગઈ. પરંતુ જોતિકા અને તેના પુત્રને બચાવી શક્યા ન હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના અંગે કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ ચાલુ છે.
કોરોના સંક્રમણથી ન ડરો- આરોગ્ય વિભાગ
તમિલનાડુમાં આવી ઘટનાને પગલે આરોગ્ય વિભાગ પણ દોડતુ હતુ હતુ. આરોગ્ય વિભાગે એડવાઇઝરી જાહેર કરતા જણાવ્યુ હતુ કે સામાન્ય વ્યક્તિએ કોરોના સંક્રમણથી ડરવાની જરૂર નથી. કોઇપણ ગેરવ્યાજબી પગલુ ન ભરે. જો તમને કોરોનાના લક્ષણો જણાય તો તરત જ ડોક્ટર અને હોસ્પિટલનો સંપર્ક કરો અને સારવાર લો. કોરોનાની સારવાર શક્ય છે. જે લોકો જલદી તબીબી મદદ લે છે તેઓ પણ જલ્દી સ્વસ્થ થઈ જાય છે.