સુરેન્દ્રનગરમાં પ્રેમ સંબંધમાં બાધારૂપ બની રહેલ 2 વર્ષના માસુમ બાળકની માતાએ જ પ્રેમી સાથે મળી હત્યા કરી નાખતા ચકચાર, પોલીસે હત્યારી જનેતા તેમજ પ્રેમીની સામે કાર્યવાહી હાથ ધરી.
સુરેન્દ્રનગરમાં માતાએ કરી દીકરાની હત્યા
માતાએ પ્રેમી સાથે મળી કરી હતી હત્યા
મહિલા અને તેના પ્રેમી વિરુદ્ધ કાર્યવાહી શરૂ
સુરેન્દ્રનગરમાં માતા અને દીકરાનાં સંબંધને લજવે તેવો કિસ્સો સામે આવ્યો છે. માતાએ તેનાં પ્રેમી સાથે મળીને વ્હાલસોયા દીકરાને બોથડ પદાર્થના ઘા ઝીંકીને હત્યા કરી નાખતા અરેરાટી સાથે ચકચાર મચી ગયો છે. પ્રેમ સંબંધમાં બાધારૂપ બની રહેલ 2 વર્ષના બાળકની જનેતાએ જ પ્રેમી સાથે મળી કરી હત્યા કરી નાખી છે. હાલ પોલીસે મૃતક બાળકના પિતાની ફરિયાદના આધારે મહિલા અને તેના પ્રેમી વિરુદ્ધ કાર્યવાહી હાથધરી છે.
8 વર્ષ પહેલા થયા હતા લગ્ન
મૃતક બાળકના પિતા સલીમભાઈએ સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, સાવરકુંડલા ગામે રહેતા અને કેટરર્સનો વ્યવસાય કરતા સલીમભાઈ રફાઈના લગ્ન રાજકોટના હુસેનાબેન હુસેનભાઈ વાઘેર સાથે 8 વર્ષ પહેલા થયા હતા. લગ્ન જીવન દરમિયાન હુસેનાબેને 2 દીકરાઓ રેહાન અને આર્યનને જન્મ આપ્યો હતો. છેલ્લા 3 વર્ષથી પતિ-પત્ની વચ્ચે ખટરાગ થતાં હુસેનાબેન પિયર જતા રહ્યા હતા. તેઓ બંને પુત્રોને પણ સાથે પિયર લઈ ગયા હતા.
પિયરમાં જાકીર હુસેન સાથે મળી ગઈ આંખ
પિયરમાં હુસેનાબેનની આંખ રાજકોટના જાકીર હુસેન ફકીર સાથે મળી ગઈ હતી. જેથી તેઓ બંને છેલ્લા દોઢ મહિનાથી સુરેન્દ્રનગરની શ્રદ્ધા ગાર્ડન હોટલની પાછળ એક મકાન ભાડે રાખીને રહેતા હતા. હુસેનાબેન તેમની સાથે નાના દીકરા આર્યન (ઉં.વ 2)ને લાવ્યા હતા. જ્યારે મોટો દીકરો રેહાન પિયરમાં જ રહેતો હતો. ગત બુધવારે આર્યનની તબિયત બગડતા તેને હુસેનાબેન પહેલા સુરેન્દ્રનગર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ આ અંગેની જાણ આર્યનના પિતા સલીમભાઈને કરવામાં આવતા તેઓ રાજકોટ પહોંચ્યા હતા.
પિતાને દેખાયા ઈજાના નિશાન
જ્યાં આર્યનની અંતિમવિધિની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે તેમણે આર્યનના શરીર પર ઈજાના નિશાન જોતા દીકરાની મોત માર મારવાથી થઈ હોવાની શંકા ગઈ હતી. જેથી તેમણે તાત્કાલિક પોલીસને ફોન કર્યો હતો. જેથી પોલીસની ટીમે આર્યનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જેમાં આર્યનનું મોત માર મારવાથી થયું હોવાનું સામે આવ્યું હતું.
પિતાએ ફોન કરીને પોલીસને બોલાવી
જેથી સલીમભાઈએ સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હુસેનાબેન અને તેના પ્રેમી જાકીર સામે પુત્રની હત્યા કર્યાની ફરીયાદ નોંધાવી હતી. મૃતક બાળકના પિતાની ફરિયાદના આધારે હાલ પોલીસે મહિલા અને તેના પ્રેમી વિરુદ્ધ કાર્યવાહી હાથધરી છે.