સગરામપુરામાં એક યુવકની બે ભાઈએ ચપ્પુના 25 ઘા અને સળિયા મારીને હત્યા કરી હતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
સુરતના સગરામપુરામાં હત્યાની ઘટના
ચપ્પુના 25 ઘા અને સળિયા મારીને કરાઈ હત્યા
પોલીસે બે આરોપીની કરી ધરપકડ
સુરતના સગરામપુરામાં એક યુવકની બે ભાઈએ ચપ્પુના 25 ઘા અને સળિયા મારીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.10 મહિના અગાઉ મૃતક સાજિદ રહેમાન શેખ સાથે આરોપીઓની બબાલ થઈ હતી જેની અદાવત રાખીને હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે.
25 ઘા અને સળિયા મારીને હત્યા
સુરત ભલે સિલ્ક અને ડાયમંડ તરીકે જાણીતું હોય પરંતુ ક્રાઇમની દુનિયામાં પણ સુરતઅવ્વલ છે. કારણ કે સતત શહેરમાં હત્યા જેવી ગંભીર ઘટનાઓ બની રહી છે. ત્યારે શુક્રવારે મોડી રાત્રે અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગરામપુરામાં એક યુવકની બે ભાઈએ ચપ્પુના 25 ઘા અને સળિયા મારીને હત્યા કરી હતી. હત્યા જૂની અદાવતમાં થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં તો પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમારી સામે શા માટે જોયા કરે છે....
જ્યારે પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે એમડી ડ્રગ્સનો નશો કરીને તેની ઇરાદાપૂર્વક હત્યા કરવામાં આવી છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર સુરતના સગરામપુરા લોહાર મહોલ્લામાં આલિશાન મંઝિલ નામની ઈમારતમાં 39 વર્ષીય સાજિદ રહેમાન શેખ પરિવાર સાથે રહેતો હતો, જેની સ્થાનિક વિસ્તારમાં રહેતા મહંમદ ઈરફાન શેખ અને મહંમદ સાજિદ શેખ નામના બે ભાઈએ ચપ્પુના ઘા અને સળિયા મારીને હત્યા કરી હતી. સાજિદ રહેમાન શેખ સાથે અગાઉ એકાદ વર્ષ પહેલાં આરોપીઓની બબાલ થઈ હતી અને ત્યારે મરનાર સાજિદ રહેમાન શેખ આરોપી હતો. દરમિયાન શુક્રવારે આરોપી મહંમદ ઈરફાન શેખ અને તેના ભાઈ મહંમદ સાજિદ શેખ સગરામપુરા સ્થિત તલાવડી ખાતે પોતાની ચાની દુકાનમાં હતા. ત્યારે સામે ઊભેલા સાજિદ રહેમાન શેખને અમારી સામે શા માટે જોયા કરે છે એમ કહી ઝઘડો કર્યો હતો અને ચપ્પુ અને સળિયાના ઘા મારી હત્યા કરી નાખી હતી.
પોલીસ સીસીટીવીને આધારે તપાસ આદરી
મોડી રાત્રે પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. મૃતકના પરિવારનો આરોપ છે કે 10 મહિના અગાઉની અદાવતમાં આ હત્યા કરવામાં આવી છે. એમડી ડ્રગ્સનો નશો કરીને તેની ઇરાદાપૂર્વક 25 જેટલા ઘા મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી કબજે કર્યા છે, જેમાં બે લોકો દેખાતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ કેસમાં ઊંડી તપાસ હાથ ધરી છે.