સ્મશાનોમાં મૃતદેહની સંખ્યા ગણવા શિક્ષકોને જવાબદારી આપવાનો આદેશ પરત ખેંચાયો, નિર્ણય ક્યા અધિકારીએ કર્યો તેની પણ તપાસ થશે
સુરતમાં શિક્ષકોને સ્મશાન ગૃહ પર ડ્યુટી આપવાનો નિર્ણય
મનપા અધિકારીઓએ આખરે નિર્ણય પરત કર્યો
ઝોન લેવલે અધિકારીઓએ આખરે નિર્ણય પરત ખેંચ્યો
સુરતમાં શિક્ષકોને સ્મશાન ગૃહ પર ડ્યુટી આપવાનો નિર્ણય મનપાના અધિકારીઓએ પરત લીધો છે. ઝોન લેવલે અધિકારીઓએ આખરે નિર્ણય પરત ખેંચ્યો છે. શિક્ષકોને 8 કલાકના રોટેશન મુજબ મૃતદેહો ગણવાની ડ્યુટી સોંપાઇ હતી. વિવાદ થતાં અંતે મનપાએ નિર્ણય પાછો ખેંચ્યો છે. શિક્ષકોને સ્મશાનમાં મૃતદેહ ગણવાનો નિર્ણય ક્યા અધિકારીએ કર્યો તેની પણ તપાસ થશે.
સુરતમાં એક જ સ્મશાનમાં 80 જેટલા મૃતદેહ લવાયા
સુરતના અંતિમવિધિના હ્રદય હચમચાવી નાંખે તેવા દૃશ્યો સામે આવ્યા છે. રામનાથ ઘેલા સ્મશાન ગૃહ ખાતે અંદાજીત 80 મૃતદેહ લવાયા હતા. કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ થઈ રહી છે. આજે બપોરે 11:30 કલાક સુધી 36 મૃતદેહ લવાયા હતા. જો કે મનપાના ચોપડે નોંધાયેલા આંકડામાં મોટી વિસંગતતા જોવા મળી રહી છે. રામનાથ ઘેલા સ્મશાન ટ્રસ્ટના પ્રમુખ હરીશ ઉમરીગરે VTVને માહિતી આપી હતી. મારૂતિ વેનમાં 3 જેટલા મૃતદેહ એકઠા લઈ જવાઇ રહ્યાં છે. સબવાહિનીમાં 5થી 6 મૃતદેહ લઇ જવાઇ રહ્યાં છે.
સુરતમાં કોરોનાના ગંભીર દર્દીઓ વધ્યા
સિવિલ હોસ્પિટલમાં 831માંથી 760 દર્દીઓ ગંભીર છે. જ્યારે સ્મિમેર હોસ્પિટલમાં 238માંથી 224 દર્દી ગંભીર છે. સુરતમાં કુલ 984 કોરોનાગ્રસ્ત ગંભીર હાલતમાં છે. અને સુરતના સ્મશાન પણ આખી રાત જાગતા હોવા છતા મૃતદેહોની અંતિમ વિધિ માટે લાઈનો જોવા મળી રહી છે.
ઓક્સિજન માસ્ક સાથે દર્દીઓ એડમિશનની પણ રાહ જોતા નજરે પડી રહ્યા છે
સુરત સિવિલમાં આવેલ કોવિડ હોસ્પિટલનો વીડિયો વાયરલ થયો છે. કોવીડ હોસ્પિટલમાં કથળતી કોરોના દર્દિઓની હાલત કફોડી બની છે. દર્દીઓ સ્ટ્રેચર અને ખુરશી પર બેસી રાહ જોઇ રહ્યા છે. લોકો હારી થાકીને જમીન પર બેસી રાહ જોઈ રહ્યા છે. એટલું જ નહીં પણ ઓક્સિજન માસ્ક સાથે દર્દીઓ એડમિશનની પણ રાહ જોતા નજરે પડી રહ્યા છે.