સુરતના સરથાણામાં સિટી બસે રાહદારીને ટક્કર મારતા રોષે ભરાયેલા ટોળાએ બસ સળગાવી દીધી.આ ઘટના શુક્રવાર મોડી રાતની છે. સરથાણા નજીકના ડાયમંડનગરમાં રાહદારીને ટક્કર મારી હતી. હાલમાં રાહદારીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો છે. આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ હતી. તો બીજી તરફ ફાયર વિભાગને પણ કોલ મળતા ફાયરફાઇટર આગને કાબૂમાં લેવા ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ડ્રાઇવર -કંડક્ટર સુરક્ષિત
ફાયરના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. તો બીજી તરફ સરથાણા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. રાહદારીને અડફેટે લેતા ભડકેલા ટોળાને કાબૂમાં લેવા પોલીસ દ્વારા પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા. જો કે આખી ઘટનામાં સારી વાત એ છે કે બસના ડ્રાઇવર કે કંડક્ટર સુરક્ષિત છે. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી આગ લગાવનાર 6 જેટલાની ઓળખ કરી લીધી છે અને 3ની અટકાયત પણ કરી.
આગ લગાવનાર 6ની ઓળખ, 3ની અટકાયત
સરથાણાના પીઆઇ એમ.કે. ગુર્જરે જણાવ્યું હતું કે BRTS રૂટ પર એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો તે સમયે આ ઘટના બની હતી. સિટી બસે ટક્કર મારતા યુવક બેભાન થઇ ગયો હતો. જો કે તાત્કાલિક 108ની મદદથી યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ બસને આગ ચાંપી હતી. ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક પહોંચી જતા પોલીસે બસને આગ ચાંપનાર 6 જણાની ઓળખ કરી જેમાંથી 3 લોકોની અટકાયત કરવામાં આવી છે.