સૌ કોઇ જાણે છે કે હનુમાનજી બાલબ્રહ્મચારી છે અને ભગવાન શ્રીરામના પરમ ભક્ત છે. ભારતમાં હનુમાનજીના અસંખ્ય મંદિરો આવેલા છે પરંતુ શું તમે જાણો છો કે હનુમાનજીનું એક એવું પણ મંદિર છે જ્યાં તેઓ સ્ત્રી સ્વરૂપે બિરાજ્યા અને સ્ત્રી સ્વરૂપે તેમની પૂજા કરવામાં આવે છે. જી હા વાસ્તવમાં છત્તીસગઢમાં આવેલા આ મંદિરમાં હનુમાનજી સ્ત્રીના સ્વરૂપે પૂજાય છે. કદાચ આ વિશ્વમાં એકમાત્ર મંદિર છે જેમાં ભગવાન હનુમાનજી સ્ત્રી સ્વરૂપે પૂજાતા હોય.
છત્તીસગઢના રતનપુર જિલ્લાના ગિરજાબંધમાં હનુમાનજીનું આ મંદિર આવેલુ છે. લોકો અહીંયા અપાર શ્રદ્ઘા ધરાવે છે. માન્યતા છે કે લોકોની દરેક મનોકામના આ મંદિરમાં પૂર્ણ થાય છે. અહીં હનુમાનજીના મૂર્તિના ડાભા ખભા પર શ્રીરામ અને જમણા ખભા પર સીતા માતા છે. ગિરજાબંધમાં આવેલા વર્ષો જૂના આ મંદિરનું નિર્માણ રતનપુરના રાજા પૃથ્વી દેવજુએ કરાવ્યુ હતુ. હનુમાનજીમાં અપાર શ્રદ્ધા ધરાવતા રાજા એક પણ દિવસ ચૂક્યા વિના બજરંગબલીને ભજતા હતા.
મંદિરના નિર્માણની કથા:
એક વખત જ્યારે રાજાને રક્તપિત્ત થતો ત્યારે તેઓ નિરુત્સાહ થઇ ગયા. તે સમયે હનુમાજી રાજના સપનામાં આવ્યા હતા અને નજીકમાં જ મંદિર બનાવવાનું કહ્યુ. ભગવાનના આદેશ અનુસાર રાજાએ મંદિર બનાવવાનું કામ શરૂ કર્યુ. મંદિરના પૂર્ણાહુતિના થોડા દિવસ જ બાકી હતા ત્યારે ફરીથી હનુમાનજી રાજાના સ્વપ્નમાં આવ્યા. સપનામાં હનુમાજીને મહામ્યા કુંડમાંથી મૂર્તિ લઇને મંદિર સ્થાપિત કરવાની સૂચના આપી તે દિવસે રાજા ત્યાં પહોંચ્યા ત્યારે સ્ત્રી સ્વરૂપની હનુમાનજીની મૂર્તિ જોઇને તેઓ ચોંકી ગયા.સ્વયં બજરંગબલીનો આદેશ હોવાથી રાજાએ સ્ત્રી સ્વરૂપની મૂર્તિની મંદિરમાં પ્રતિષ્ઠા કરી. થોડા જ દિવસોમાં તેઓ બિમારીમાંથી ઠીક થઇ ગયા. રાજાએ ભગવાનનો આભાર માન્યો અને પ્રાર્થના કરી કે અહીં દર્શન માટે આવતા તમામ ભક્તોની ઇચ્છા પૂરી થાય.
કઇ રીતે જશો:
રાયપુરમાં આવેલી સ્વામી વિવેકાનંદ એરપોર્ટ રતનપુરથી સૌથી નજીક એરપોર્ટ છે. એરપોર્ટથી બિલાસપુરનું અંતર 140 કિલોમીટર છે. બસ કે ટેક્સી દ્વારા બિલાસપુર પહોંચી શકાય છે. બિલાસપુરથી રતનપુર 28 કિલોમીટર દૂર છે. એટલે એરપોર્ટથી રતનપુર 5 કલાક લગાશે. જો ટ્રેનથી જવું હોય તો બિલાસપુર રેલવે સ્ટેશન રતનપુરથી 25 કિલોમીટર દૂર છે. રેલ્વે સ્ટેશન પર ઉતરી રતનપૂર જવા માટે ટેક્સી કરી શકો છો.
ક્યારે જશો?
ઉનાળામાં રતનપુરમાં ગરમી પડે છે આ માટે મંદિરમાં દર્શન કરવા માટે જવું હોય તો શિયાળાનો સમય સૌથી સારો છે. ઓક્ટોબરથી માર્ચ મહિનામાં આ હનુમાનજીના દર્શન કરવા જઇ શકો છો.