નાગરિકતા સંશોધન બિલ સંસદમાં પાસ થઈ ગયું છે. બુધવારે લગભગ 8 કલાક સુધી રાજ્યસભામાં ભારે ચર્ચા બાદ આ બિલને લઈને વોટિંગ કરવામાં આવ્યું હતું અને 125 સાંસદોએ તેના સમર્થનમાં વોટ આપ્યા હતા. જે બાદ બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયું. જ્યારે બિલના વિરોધમાં 99 વોટ પડ્યા હતા. વોટિંગ દરમિયાન વિપક્ષી એકતા પણ વિખેરાયેલી જોવા મળી હતી. હકીકતમાં વિપક્ષને આશા હતી કે બિલના વિરોધમાં લગભગ 110 જેટલા સાંસદ વોટ કરશે પરંતુ આ આંકડો 99 પર જ રોકાઈ ગયો હતો.
નાગરિકતા સંશોધન બિલ અંગે વિપક્ષોનું ગણિત બગડ્યું
8 કલાક સુધી રાજ્યસભામાં ચાલ્યું ઘમાસાણ
મોદી સરકારે પ્રથમ કાર્યકાળમાં આ બિલ લોકસભા પસાર કર્યું હતું
નાગરિકતા સંશોધન બિલ પર વોટિંગ દરમિયાન રાજ્યસભામાં 224 સાંસદ હાજર હતા. બહુમતી માટે 113 વોટની જરૂર હતી. બિલ અંગે ભાજપને આશા હતી કે તેના સમર્થનમાં 124થી 130 વોટ આવશે. જેથી 125 વોટ સાથે ભાજપનો આ અનુમાન સાચો પડ્યો હતો. બીજી તરફ બિલના વિરોધમાં 110 વોટ પડવાની અપેક્ષા હતી પરંતુ એવું થયું નહીં.
વોટિંગ પહેલાં શિવસેનાના 3 સાસંદે રાજ્યસભામાંથી વોક આઉટ કર્યું હતું
કોંગ્રેસની આગેવાનીવાળી 'યુપીએ'માં 64 સાંસદો છે અને તેઓ અન્ય દળો જેમ કે, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ, ભારતીય સામ્યવાદી પાર્ટી (એમ) અને અન્ય 46 સાંસદો બિલના વિરોધમાં વોટ આપશે એવી ધારણા હતી. જોકે, ટીએમએસ અને એસપીના એક-એક સાંસદ પણ બુધવારે રાજ્યસભામાં હાજર રહ્યા નહોતા. વોટિંગ પહેલાં શિવસેનાના 3 સાસંદે રાજ્યસભામાંથી વોક આઉટ કર્યું હતું.
ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને રાજ્યસભામાં સંશોધન પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જે વોટિંગ પછી નામંજૂર થયો હતો. આ સિવાય અન્ય અનેક સંશોધન પ્રસ્તાવ પણ વોટ દ્વારા નામંજૂર કરી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન બિલ પસાર કરવા માટે મોદી સરકારનો આ બીજો પ્રયાસ છે. મોદી સરકારે તેના પ્રથમ કાર્યકાળમાં આ બિલ લોકસભા પસાર કર્યું હતું, પરંતુ રાજ્યસભામાં તેને રાખી શકાયું નહીં. સંસદ વિસર્જન પછી, આ બિલને ફરી એકવાર લોકસભામાં પાસ કરાવવા મોદી સરકારે રાજ્યસભામાં તેને પસાર કર્યું હતું. હવે તે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી કાયદાકીય રીતે પાસ થઈ જશે.