રાજકોટમાં વ્યાજખોરે મહિલા સાથે દુષ્કર્મ આચરતા કોર્ટના હુકમ બાદ અંતે તાલુકા પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધ્યો છે.
રાજકોટમાં વ્યાજખોરોનો વધતો જતો આતંક
પતિએ લીધેલા વ્યાજે પૈસા ન આપતા મહિલા સાથે દુષ્કર્મ
તાલુકા પોલીસ ફરિયાદ લેવામાં ગલ્લા તલ્લા કરતાં કોર્ટનું શરણું લીધું
કોર્ટના આદેશથી મહિલા પર થયેલા કૃત્યની ફરિયાદ પોલીસે નોંધી
રાજકોટના જીવરાજપાર્ક વિસ્તારની લક્ષ્મણ ટાઉનશિપમાં રહેતી મહિલાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, મહિલાના પતિએ અજિતસિંહ ચાવડા નામના શખ્સ પાસેથી રિક્ષા ખરીદવા માટે વર્ષ 2021માં રૂ.50 હજાર વ્યાજે લીધા હતા. જે બાદ અજિતસિંહ અવારનવાર ઘરે આવીને પૈસાની પઠાણી ઉઘરાણી કરતો હતો, વ્યાજ સાથેની રકમ વસૂલવા માટે અજિતસિંહ પાસેથી તેના મિત્ર દીપક વાગડિયા નામના શખ્સે હવાલો લીધો હતો. જેથી તે પૈસાની ઉઘરાણી કરવા ઘરે આવ્યો હતો, પરંતુ ધંધો સરખો ચાલતો ન હોય પતિ હપ્તો ભરવામાં અસક્ષમ રહેતા હતા. જેથી દીપકને નાણાંની વ્યવસ્થા થયે પૈસા આપી દઇશુંની વાત કરી હતી.
તાલુકા પોલીસે ન લીધી ફરિયાદ
તો તેણે પતિ પર ખોટા કેસમાં ફિટ કરી દેવાની અને બાળકો ઉઠાવી જવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. દીપક મહિલાને ઘરે, ઓફિસે અને વિવિધ જગ્યાએ દુષ્કર્મ આચરતો હતો. અંતે કંટાળી દીપક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. મહિલાના જણાવ્યા અનુસાર, આ મામલે તાલુકા પોલીસે ફરિયાદ લીધી ન હતી.
દંપતીએ ખખડાવ્યો હતો કોર્ટનો દરવાજો
તાલુકા પોલીસે ફરિયાદ લેવામાં આનાકાની કરતા દંપતીએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટમાં ફરિયાદ નોંધાયાની ખબર પડતા વ્યાજખોર અજિતસિંહ સહિતનાઓએ મહિલા અને તેના પતિ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેના ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. કોર્ટે આ બનાવની ગંભીરતાથી નોંધ લઈ પોલીસને ગુનો નોંધવાનો આદેશ કર્યો હતો. કોર્ટના આદેશથી પોલીસે દિપક વાગડીયા વિરુદ્ધ દુષ્કર્મ અને ધમકીનો ગુનો નોંધ્યો છે.
સળગતા સવાલો
વ્યાજખોરોના આતંકથી ક્યારે મળશે છૂટકારો?
પોલીસે વ્યાજખોર વિરુદ્ધ કેસ કેમ દાખલ ન કર્યો?
શું સંબંધના કારણે પોલીસ ફરિયાદ દાખલ નહોતી કરતી?
શું પોલીસ વ્યાજખોરોને છાવરી રહી છે?
શું પોલીસને વ્યાજખોરથી ભય લાગે છે?
શું વ્યાજખોર પોલીસને હપ્તો આપે છે?
રાજ્યમાં રોજબરોજ વ્યાજખોરનો આતંક સામે આવે તો પણ પોલીસ વિભાગ સતર્ક કેમ નથી થતું?
શું વ્યાજખોરના ત્રાસથી અઘટીત ઘટના બનશે પછી જ તંત્ર સતર્ક થશે?
વ્યાજખોરોને કાયદાનો ભય કેમ નથી રહ્યો?
રાજ્ય સરકાર વ્યાજખોરો વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી ક્યારે કરશે?