રાજકોટમાં ચોંકાવનારી ઘટના બની છે. માત્ર 10 વર્ષની બાળકીએ ગળાફાંસો લગાવી આપઘાત કરી અરેરાટી વ્યાપી ગઈ છે.
રાજકોટમાં 10 વર્ષની બાળકી કર્યો આપઘાત
બાથરુમમાં દુપટ્ટો બાંધીને લટકી જઈ કર્યો આપઘાત
આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર રોજકોટ શહેરના યાજ્ઞિનક રોડ પર આવેલા ન્યુ જાગનાથ પ્લોટ શેરીમાં રહેતી કરિશ્મા સોની નામની 10 વર્ષીય બાળકીને ગત રોજ બેભાન હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેમના પરિવારજનોએ ડોક્ટરને જણાવ્યું હતું કે, બાળકીએ ગળાફાંસો ખાઈ લીધો હતો. ફરજ પર હાજર તબીબે જોઈ તપાસી કરિશ્માને મૃત જાહેર કરી હતી.
બાથરુમમાં દુપટ્ટો બાંધીને લટકી જઈ કર્યો આપઘાત
આ બનાવની જાણ એ.ડિવિઝન પોલીસને કરાતા તાત્કાલિત PSI સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. પરિવારજનોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બાળકી ગત રોજ 11.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે બાથરૂમમાં ન્હાવા ગઈ હતી. તેમના માતા ઉપરના રૂમમાં હતા ત્યારે બાળકીએ બાથરૂમના એન્ગલ સાથે દુપટ્ટો બાંધી અંતિમ પગલું ભર્યું હતું. તેને ક્યાં કારણોસર આ પગલું ભર્યું તેનાથી પરિવારજનો અજાણ હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક બાળકીના પિતા એક રેસ્ટોરન્ટમાં કુક તરીકે નોકરી કરે છે. માતા નેહાબેન ઘરકામ કરે છે. જ્યારે બાળકી બે ભાઈ, બે બહેનમાં મોટી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકીએ આપઘાત કર્યો તે પહેલાં બાળકીની માતાએ તેને પિતાને ટીફીનનું પાર્સલ આપી આવવા કહ્યું હતું જે મામલે બાળકી અને માતા વચ્ચે થોડી રકઝક-બોલાચાલી થઈ હતી. કદાચ આ વાતનું માઠું લાગી આવતા આપઘાત કર્યો હોવાની પોલીસને શંકા છે. જોકે તે મામલે કોઇ સ્પષ્ટતા ન હોવાથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.