પોરબંદરમાં નાથાભાઈ ઓડેદરાએ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી આ દેશમાં સતત નિષ્ફળ ગઈ છે, ગુજરાતમાં ગત વખતે વિધાનસભાની 77 બેઠક આવી હતી જ્યારે આ વખતે 17 જ આવી છે.
નાથાભાઈ ઓડેદરાએ પંજો છોડી આપનો ખેસ ધારણ કર્યો
કોંગ્રેસ પાર્ટી આ દેશમાં સતત નિષ્ફળ ગઈ છે: નાથાભાઈ ઓડેદરા
પોરબંદર જિલ્લાના રાજકરણમાં ચહલ-પહલ મચી છે. પોરબંદર જિલ્લા પૂર્વ પ્રમુખ અને કુતિયાણા વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર નાથાભાઈ ઓડેદરા કોંગ્રેસનો હાથ છોડી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.
નાથાભાઈ ઓડેદરાના કોંગ્રેસ પર પ્રહાર
નાથાભાઈ ઓડેદરાએ કહ્યું કે, આજે સૌ કોઈ જાણે છે તાનાશાહી ચાલી રહી છે. ઉદ્યોગપતિઓનું રાજ ચાલે છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી આ દેશમાં સતત નિષ્ફળ ગઈ છે. ગુજરાતમાં ગત વખતે વિધાનસભાની 77 બેઠક આવી હતી જ્યારે આ વખતે 17માં આવી ગઈ છે. તેમણે ઉમેર્યું કે, અંદરો અંદર વિખવાદના કારણે કોંગ્રેસ પાર્ટી પતી ગઈ છે. આમ આદમી પાર્ટીમાં નિષ્ઠાવાન માણસો છે અને અરવિંદ કેજરીવાલની પાર્ટી છે અને તે સતત જાગૃત પાર્ટી છે.
નાથાભાઈ ઓડેદરા આપમાં જોડાય છે: AAP પ્રદેશ પ્રમુખ
પોરબંદર જિલ્લામાં કોંગ્રેસને મોટો ઝટકો વાગ્યો છે. નાથાભાઈ ઓડેદરાએ પંજો છોડી આપનો ખેસ ધારણ કર્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, ત્રણ વિચારધારાથી વરેલી પાર્ટી આમ આદમી પાર્ટી છે, તેમણે કહ્યું કે, પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં જેમની નામના છે તેવા નેતા કોંગ્રેસના લિડર આગેવાન એવા નાથાભાઈ ઓડેદરા આજે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યાં છે. તેમણે નાથાભાઈ વિશે કહ્યું કે, જેમણે કોરોના કાળમાં લોકોની ખુબ જ સેવા કરી છે.
કુતિયાણા બેઠક પર ચોપાંખિયો જંગ હતો
વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પોરબંદરની કુતિયાણા બેઠક પર ચોપાંખિયો જંગ ખેલાયો હતો, ભાજપ, કોંગ્રેસ, AAP ઉપરાંત સમાજવાદી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા અને એ બીજુ કોઈ નહીં પરંતુ કુતિયાણાના બાહુબલી નેતા કાંધલ જાડેજા હતા. ભારતીય જનતા પાર્ટીએ કાંધલ જાડેજાને કુતિયાણાના કિંગ બનતાં રોકવા માટે બાહુબલી પરિવારના પૂત્રવધુને ઢેલીબેન ઓડેદરાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે નાથાભાઈ ઓડેદરાને અને આમ આદમી પાર્ટીએ ભીમા મકવાણાને ટિકિટ આપી હતી. જો કે, કાંધલ જાડેજાની જીત થઈ હતી.