પેટ્રોલમાં પાણી આવવાથી અનેક વાહનો બંધ પડી જતાં વાહનચાલકોએ કર્યો હોબાળો
વલસાડના ધરમપુર ચોકડી પાસે પેટ્રોલપંપ વિવાદમાં
IOCના પેટ્રોલપંપ પર ગ્રાહકોએ કરી બબાલ
અનેક વાહનો બંધ પડી જતાં વાહનચાલકોએ કર્યો હોબાળો
દેશમાં વધી રહેલા પેટ્રોલના ભાવના કારણે વાહન ચાલકોની મુસીબત દિનપ્રતિદિન વધી રહી છે .ઓછા પગારમાં 107 રૂપે પેટ્રોલ ભરાતા વલસાડના લોકો માટે ગરીબીમાં આટા ગીલા જેવો માહોલ સર્જાયો છે.
પેટ્રોલ ભરાવી 2 કિલોમીટર આગળ જતા ગાડીઓ અને બાઈકો અટવાયા
વલસાડના ધરમપુર ચાર રસ્તા પર આવેલા પેટ્રોલ પમ્પ પર પેટ્રોલની સાથે પાણી ભળી જતાં લોકોના વાહનો પણ ખોટવાયા હતા.બુધવારના સાંજના સમયે ધરમપુર ચાર રસ્તા પર આવેલા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પેટ્રોલ પુરાવતા લોકોની કાર અને બાઈક એકાદ બે કિલોમીટર દૂર જતાં જ ખોટવાઈ જવાની ઘટના બની હતી.રસ્તા પર જ ફસાયેલા લોકોએ બાજુની ગેરેજમાં તપાસ કરાવતા પેટ્રોલની ટાંકીમાં પાણી મળી આવ્યું હતું .જેથી અનેક લોકો પેટ્રોલ પંપ પર ધસી આવ્યા હતા અને પેટ્રોલ કંપનીના સંચાલક સાથે બબાલ કરી હતી.
અગાઉ પણ પેટ્રોલપંપ પર ગેરરીતિ થયાની હતી ફરિયાદો
એક તરફ પેટ્રોલના ભાવ વધી રહ્યા છે અને બીજી તરફ આ રીતે પાણી વાળુ પેટ્રોલ પેટ્રોલ પંપ દ્વારા પોતાના વાહનમાં આપતા લોકોના વાહનને રીપેર કરવાનો પણ ખર્ચ આવ્યો હતો. આમ પોતાના મોંઘા વાહનોને ખોટવાઈ જતા લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે ઘર્ષણ પણ કર્યું હતું. આ પેટ્રોલ પંપ પર પાણી મળવાની આ પ્રથમ ઘટના નથી અગાઉ પણ આ પેટ્રોલ પંપ વિવાદમાં આવી ચૂક્યો છે અને ફરી એકવાર પાણીવાળું પેટ્રોલ લોકોના વાહનો માં નાખતા ફરી એક વાર વિવાદ સર્જાયો હતો.
વાહનચાલકોએ નુકસાનના વળતરની કરી માગ
ઘટનાની ગંભીરતાને જોતા વલસાડ ગ્રામ્ય પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો.પેટ્રોલ પંપનો માલિક પણ પોતાની ભૂલ સ્વીકારે છે અને ગ્રાહકોના વાહનોમાં થયેલ નુકશાનની ભરપાઈ કરવા તૈયાર થયો હતો.