ભોપાલમાં એક પરિવારે લગ્નમાં કંકોત્રી આપવાના બદલે કુંડા પર વર વધુનાં નામ અને જગ્યા લખીને 400 લોકોને આમંત્રણ પાઠવ્યું હતું. જેથી લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય.
પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતતા લાવવા માટે ભોપાલના એક પરિવારે લગ્નમાં કંકોતરીના બદલે કૂંડાં પર વર-વધુનાં નામ અને જગ્યા લખીને ૪૦૦ લોકોને આમંત્રણ આપ્યું. આ કૂંડાંમાં અલગ અલગ પ્રકારના છોડ હતા, જેને આઠ મહિના પહેલાં જ લગાવ્યા હતા. ભોપાલના તુલસીનગરમાં રહેતા રાજકુમાર કનકનેના દીકરા પ્રાંશુનાં લગ્ન ર૦ નવેમ્બરે હતાં. પહેલાં પરિવારે વિચાર્યું કે લગ્નનાં કાર્ડ આપવામાં આવે ત્યારે તેમના મોટા દીકરા પ્રતીકે કહ્યું કે આપણે લગ્નના નિમંત્રણમાં એવું કરીએ, જેથી લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય. પરિવારે આઠ મહિના પહેલાં લાગેલા છોડનાં કૂંડાં પર નામ છપાવીને સૌને નિમંત્રણ આપવાની વાત પર સહમતી જતાવી. વિચાર એવો જ હતો કે લોકો કાર્ડ લઈને ભૂલી જાય છે, પરંતુ જો આ છોડ તેમના ઘરમાં હશે તો અમારા પરિવારની આ ખાસ પળને હંમેશાં યાદ રાખશે. પ્રતીકે જણાવ્યું કે અમે કંકોતરી ન છપાવી. ભોપાલમાં ઓળખીતાઓ અને સંબંધીઓને ૪૦૦ છોડ આપી નિમંત્રિત કર્યા અને અન્ય સંબંધીઓને વોટ્સએપ પર આમંત્રણ આપી લગ્નમાં આવવા માટે કહ્યું.