હાલ ભાજપ અને કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો શોધવાની કવાયત ચાલી રહી છે, ગુજરાતની 26માંથી 10 બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ રહેલું છે ત્યારે આ બેઠકો પર વિજય મેળવવા માટે ભાજપે ફરી એકવાર નવી રણનીતિ અપનાવી છે. હાર્દિક પટેલની કોંગ્રેસમાં એન્ટ્રીને કાઉન્ટર કરવા ભાજપે રાજકોટ બેઠક પરથી પરેશ ગજેરા અથવાતો નરેશભાઈ પટેલને મેદાને ઉતારવા કવાયત શરૂ કરી છે અને આ તરફ ક્યારેય રાજકારણમાં નહીં આવવાનું કહેનારા નરેશ પટેલે પણ સમાજને રાજકારણમાં જોડાવાની સલાહ આપી દીધી છે. જોઈએ આ અહેવાલ.
ગુજરાતમાં એક કરોડથી વધુ પાટીદાર મતો હોવાથી બન્ને રાજકીય પક્ષો એવા ભાજપ અને કોંગ્રેસ પાટીદાર આગેવાનોને ટિકિટ આપવા માટેની હિલચાલ શરૂ કરી છે, ત્યારે 2015 બાદ ગુજરાતમાં વિમુખ થયેલા પાટીદાર મતદારોને ખેંચવા માટે ભાજપે સૌરાષ્ટ્રમાંથી પરેશ ગજેરા અથવાતો નરેશ પટેલને અને ઉત્તર ગુજરાતમાંથી વિશ્વ ઉમિયાધામના પ્રણેતા સી.કે.પટેલને ચૂંટણી લડાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. લેઉવા અને કડવા એમ બે જૂથમાં વહેંચાયેલા પાટીદારોને મતદારોની સંખ્યા મુજબ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પટેલ મતો મેળવવા માટે ભાજપે નવી રણનીતિ અપનાવી છે.
2014માં ગુજરાતમાંથી નરેદ્ર મોદીની વિદાય બાદ તેમના અનુગામી તરીકે આવેલા આનંદીબેન પટેલ અને રૂપાણીના શાસનમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થતાં પાટીદાર સમાજનો કેટલોક હિસ્સો ભાજપ વિરોધી થઈ ગયો હતો. જેના કારણે 2015 બાદ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપને પાટીદાર મતોનો મોટો ફટકો પડ્યો હતો. એટલું જ નહીં, 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ પાટીદાર મતોના કારણે ભાજપને અપેક્ષા કરતા ઓછી બેઠકો મળી હતી. જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 10 બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ રહેલું છે ત્યારે આ બેઠકો પર વિજય મેળવવા માટે ભાજપે ફરી એકવાર નવી રણનીતિ અપનાવી છે. જેમાં લેઉવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ અને પરેશ ગજેરાનો જેવા સમાજના બન્ને આગેવાનોને ભાજપમાંથી ચૂંટણી લડવા માટ સીધો જ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
સામાન્ય રીતે રાજકારણથી દૂર રહેવાની વાતો કરનારા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પણ હવે અચાનક યુ ટર્ન લીધો છે. તેમણે ધોરાજી ખાતે યોજાયેલ ખોડલધામ યુવા સમિતિના એક કાર્યક્રમમાં રાજકારણ અને પાટીદાર બન્નેને એકસૂત્રે સંકળાઈ જવાની સલાહ આપી છે. તેમને હવે એવું લાગે છે કે, પાટીદાર યુવાનો રાજકારણમાં આગળ વધશે તો જ કોઈક પાટીદાર સમાજનો કોઈ ભાવ પૂછશે. સ્વમાની પાટીદારનેતાને હવે રાજકારણ વિના પ્રગતિ નહીં થાય તેવું લાગી રહ્યું છે. તો આ તરફ રાજકોટમાં પરેશ ગજેરાના સમર્થનમાં કેટલાક કાર્યકરોએ લગાવેલા બેનર બાદ તેમણે પ્રધાનમંત્રી નરેદ્ર મોદીના વખાણ કરવાનું શરૂ કરી દીધું છે. એટલું જ નહીં પરેશ ગજેરાએ પીએમ નરેદ્ર મોદીના વખાણ પણ શરૂ કરી દીધા છે અને રાજકોટ ખાતેથી ચૂંટણી લડવાની પણ ઈચ્છા વ્યક્ત કરી દીધી છે.
કોંગ્રેસ સામે ભાજપ દ્વારા સોગઠાબાજી ગોઠવાઈ રહી છે. એ પછી કેમ્પેઈનની હોય કે ઉમેદવાર પસંદ કરવાની હોય ભાજપ એક ડગલું આગળ ચાલી રહ્યો છે. ત્યારે ભાજપની આ સૌરાષ્ટ્ર કવાયત વિધાનસભામાં થયેલુ નુકસાન ભરપાઈ કરી આપશે કે કેમ તે તો લોકસભા ચૂંટણી પછી ખબર પડશે.