મહેસાણા અને થરાદમાં વાહનચાલકો નાણા કમાવવાની લાલચમાં લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે, કોરોનાકાળમાં પણ અમર્યાદિત સંખ્યાઓ ભરીને મુસાફરી કરે છે
મહેસાણામાં બેફામ વાહન ચાલકો
શટલિયામાં સામાજિક અંતરનો ભંગ
આવી રીતે કોરોના અટકશે?
રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. અને રાજ્ય સરકાર અને તંત્ર કોરોના સંક્રમણ અટકાવવા સામાજિક અંતર જાળવવાની સુફિયાણી વાતો કરી રહ્યું છે. પરંતુ મહેસાણામાં કોરોના સંક્રમણ ફેલાવતા કેન્દ્ર સમાન પોલીસની રહેમનજર અને હપ્તાથી ચાલતા ખાનગી શટલિયા બંધ કરાવાતા નથી. મહેસાણામાં ખાનગી શટલિયા બેફામ ફરી રહ્યાં છે. ખાનગી શટલિયામાં મુસાફરોને ઘેટાં-બકરાંની જેમ ભરવામાં આવી રહ્યાં છે. પરંતુ કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા ઉડાવતા વાહનો સામે પોલીસ અને તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. અને નક્કર પગલા ભરતું નથી.
થરાદમાં પણ છે આવી જ હાલત
કોરના અટકાવવા તંત્ર દ્વારા તેમજ પોલીસ, ડોક્ટર જેવા કોરોના વોરીયર્સ કામે લાગ્યા છે. ત્યારે કેટલાગક તત્વો એવા પણ છે જે કોરોનાની ગાઇડલાઇનનો બેફામ ઉલ્લંઘન કરી રહ્યા છે. હમણા થરાદ-ધાનેરા હાઇવે પર જીપમાં ખીચોખીચ મુસાફરો ભરેલા જોવા મળ્યા હતાં. કોરનાકાળ વચ્ચે ખીચોખીચ મુસાફરો ભરી જીપ ચલાવવામાં આવે છે. તેમજ માસ્ક અને સામાજિક અંતરનો અભાવ પણ જોવા મળ્યો હતો. આ મુસાફરો પોતાના જીવના જોખમે જીપ પર લટકી રહ્યાં છે.
કોરોનાકાળમાં શું છે બનાસકાંઠાની સ્થિતિ
બનાસકાંઠામાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાની તમામ હોસ્પિટલો હાઉસફુલ થઈ ચૂકી છે. જ્યાં જિલ્લામાં 950 જેટલા કેસ એક્ટિવ છે. જિલ્લામાં ઓક્સિજન, વેન્ટિલેટરની પણ અછત છે. સાથે રેમડેસિવર ઈન્જેકશનની પણ અછત છે.
આજથી અંબાજી મંદિર દર્શનાર્થી માટે બંધ કરી દેવાયું છે. 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રાખી દેવાયું છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખી નિર્ણય કરાયો છે. અંબિકા ભોજનાલય અને વિશ્રામગૃહ પણ બંધ રહેશે. ચૈત્રી નવરાત્રીમાં શક્તિપીઠ અંબાજી બંધ રહેશે.