Maharashtra Political Crisis News: મહારાષ્ટ્રમાં ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે બધુ બરાબર નથી ? CM એકનાથ શિંદેના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદેએ રાજીનામું આપવાની ઓફર કરતાં હડકંપ
મહારાષ્ટ્રથી 2024ની લોકસભા ચૂંટણી પહેલા એક મોટા સમાચાર
CM એકનાથ શિંદેના પુત્ર અને કલ્યાણના સાંસદ શ્રીકાંતે રાજીનામાની કરી ઓફર
મહારાષ્ટ્રમાં ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે બધુ બરાબર નથી ?
મહારાષ્ટ્રથી 2024ની લોકસભા ચૂંટણી પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્રમાં ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે બધુ બરાબર નથી તેવા સંકેતો મળી રહ્યા છે. આ તરફ હવે મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર અને કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદેએ શુક્રવારે રાજીનામું આપવાની ઓફર કરતાં હડકંપ મચી ગયો છે. શ્રીકાંત શિંદેએ ભાજપના કેટલાક નેતાઓ પર શિવસેના-ભાજપ ગઠબંધનને નબળું પાડવા અને સ્વાર્થની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.
જાણો કેમ કરી રાજીનામાંની ઓફર ?
ન્યૂઝ એજન્સી ANI અનુસાર શ્રીકાંત શિંદેએ કહ્યું, ડોમ્બિવલીના કેટલાક નેતાઓ તેમના સ્વાર્થી રાજકારણ માટે ગઠબંધન (ભાજપ-શિંદે જૂથ) માટે અવરોધો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું કોઈ પદની ઈચ્છા રાખતો નથી. ભાજપ-શિવસેનાનું વરિષ્ઠ નેતૃત્વ જે પણ ઉમેદવાર નક્કી કરશે, હું તેને સમર્થન આપીશ. અમારો ઉદ્દેશ્ય બીજેપી-શિવસેના ફરીથી ગઠબંધન કરવાનો છે અને કેન્દ્રમાં ભાજપ સાથે સરકાર બનાવવાનો છે. આ દિશામાં અમે જે કામ કરી રહ્યા છીએ તેનો કોઈ વિરોધ કરે, કોઈ નારાજ થાય અને ગઠબંધનમાં ગરબડ થાય તો હું મારા હોદ્દા પરથી રાજીનામું આપવા તૈયાર છું.
શ્રીકાંત શિંદેએ કેમ આપ્યું આપ્યું નિવેદન ?
સ્થાનિક ભાજપના નેતાઓએ આગામી લોકસભા ચૂંટણીમાં એકનાથ શિંદેની શિવસેનાને સમર્થન ન આપવાનો ઠરાવ પસાર કર્યાના એક દિવસ બાદ તેમની ટિપ્પણી આવી છે. ભાજપના કેબિનેટ મંત્રી રવિન્દ્ર ચવ્હાણની હાજરીમાં કલ્યાણ લોકસભા મતવિસ્તારમાં યોજાયેલી બેઠક દરમિયાન આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં ગઠબંધન બનાવનાર બે પક્ષો વચ્ચેના અણબનાવનું કારણ ભાજપના ડોમ્બિવલી પૂર્વ મંડળના પ્રમુખ નંદુ જોશી સામે નોંધાયેલ છેડતીનો કેસ હોવાનું માનવામાં આવે છે.
અગાઉ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા પછી, એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે ભાજપ અને શિવસેના મહારાષ્ટ્રમાં આગામી તમામ ચૂંટણી લડશે, જેમાં શહેરી અને સ્થાનિક સંસ્થાઓ, વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ સામેલ છે.
શ્રીકાંત શિંદે કહ્યું કે, પાર્ટી 2024માં ફરી એકવાર નરેન્દ્ર મોદીને આ દેશના વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. અમે આ માટે સખત મહેનત કરીશું. પરંતુ કેટલાક નજીવા કારણોસર ડોમ્બિવલીમાં કેટલાક નેતાઓ દ્વારા શિવસેના-ભાજપ ગઠબંધનમાં સ્વાર્થની રાજનીતિ ચાલુ છે. શ્રીકાંત શિંદેએ જોકે સ્પષ્ટતા કરી હતી કે, બંને પક્ષોના વરિષ્ઠ નેતૃત્વ વચ્ચે કોઈ ગેરસમજ નથી. તેમણે કહ્યું કે, શિવસેનાનો ઉદ્દેશ્ય કેન્દ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન અને રાજ્યમાં ગઠબંધન સરકાર બનાવવાનો છે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેના ગઠબંધનને 45 બેઠકો મળી હતી.