કડવા પાટીદાર અગ્રણી જયરામ પટેલની VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીત
કડવા પાટીદાર સમાજ સંખ્યા પ્રભુત્વને લઇ ટિકિટ માંગી શકે
ગુજરાતના રાજકારણની વાત આવે એટલે પાટીદાર સમાજ અને તેના પ્રભુત્વની વાતને આંખ આડી ન કરી શકાય, ભાજપ 27 વર્ષથી સત્તારૂઢ છે જેમાં કોઈ ન કોઈ ન રીતે પાટીદાર સમાજનો સિંહ ફાળો છે. એ પછી કડવા હોય કે લેઉવા, પણ ચૂંટણી આવતા જ પાટીદાર સમાજમાં અંદરો અંદર પણ ટિકિટની પેરવી માટે સોગઠાં ગોઠવાતા હોય છે. આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે સૌરાષ્ટ્રના જૂનાગઢમાં કડવા પાટીદાર સમાજનું સામાજિક સંમેલન યોજાયું. જેમાં ચૂંટણી ટિકિટનો સૂર ઉઠ્યો હતો. કડવા પાટીદાર સમાજે વસ્તીના પ્રભુત્વને આધારે ટિકિટ માંગી છે.
સૌરાષ્ટ્રમાં અમે પક્ષો 12 ટિકિટની માંગી
કડવા પાટીદાર સંમેલનમાં ચૂંટણી ટિકિટ મુદ્દો ચર્ચાવાનો મામલે કડવા પાટીદાર અગ્રણી જયરામ પટેલની VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીત થઈ હતી. જેમાં તેમણે હામ ભરી હતી કે કડવા પાટીદાર સમાજ સંખ્યા પ્રભુત્વને લઇ ટિકિટ માંગી શકે છે. સૌરાષ્ટ્રમાં અમે 12 ટિકિટની માંગ કરી છે. આપવી કે નહીં રાજકીય પક્ષો પર આધાર છે.
રાજકોટ પશ્ચિમ બેઠક પર પાટીદારને ટિકિટ મળે: જયરામ પટેલ
તો બીજી તરફ જયરામ પટેલ સતત રાજકોટ પશ્ચિમ બેઠક પાટીદારોને મળે તેવા પ્રયાસ કરતા રહયા છે. આ ફરી તેમણે કહ્યું કે રાજકોટ પશ્ચિમ બેઠક વિજય રૂપાણી લડતા હતા તેથી અમે માંગતા ન હતા, રાજકોટ પશ્ચિમ બેઠક પર રૂપાણી ન લડે તો કડવા પાટીદારને ટિકિટ માગવાંનો હક્ક છે. જૂનાગઢમાં બે ટિકિટ પણ કડવા પાટીદારે માંગી છે.
ગાંધીનગરમાં સમાજનો કેમ અવાજ નથી પહોંચતો: હરિભાઇ પટેલ
સામાજિક સંમેલનમાં કડવા પાટીદાર સમાજને ચૂંટણી ટિકિટ આપવા અંગે સૂર ઉઠ્યો છે. આ અંગે સમાજના આગેવાન હરીભાઇ પટેલનું કહેવું છે કે, 'સમાજમાં હવે 7થી 8 જ બેઠકો વધી છે. સમાજનો હક છે તે સમાજને આપવો જ પડે. ગાંધીનગરમાં સમાજનો કેમ અવાજ નથી પહોંચતો. અમે રાજકીય પક્ષો પાસે વધારેમાં વધારે ટિકિટો માંગી છે.
વધારેમાં વધારે ટિકિટ દરેક પક્ષો અમને આપે: વાલજીભાઈ ફળદુ
વધુમાં કડવા પાટીદારના આગેવાન વાલજીભાઈ ફળદુએ કહ્યું કે, 'રાજકીય પક્ષો સમાજની સંખ્યા પ્રમાણે ટિકિટ આપે. અમે કહેશું તેમ નહીં થાય તો તાકાત બતાવીશું.' જ્યારે અન્ય આગેવાન જેરામભાઈ પટેલે કહ્યું કે, 'આ સામાજિક સંમેલન છે. સમાજની એકતા, સમાજનું સંગઠન અને ભાઇચારો વધે એના માટેનું આજનું અમારું આ આયોજન છે. સ્વાભાવિક છે કે ચૂંટણી નજીક આવી રહી છે. એટલે લોકો બધાય વિચારે તો પણ અમને એમાં કંઇ વાંધો નથી. ટિકિટની વાત છે ત્યારે અમે બધા જ પક્ષો સામે માંગણી કરી છે કે વધારેમાં વધારે બધા જ પક્ષો ચાહે કોઇ પણ હોય તે અમને ટિકિટ આપે. પાટીદાર સમાજ આજે બિઝનેસમાં ખૂબ જ આગળ છે. એટલે અમારી જેટલી ટકાવારી છે એટલા જ અમારા કારખાનામાં બીજા સમાજના માણસો કામ કરે છે. એટલે અમે બધાને વિનંતી કરી છે કે વધારેમાં વધારે ટિકિટ દરેક પક્ષો અમને આપે તો ચોક્કસ અમે એમને ન્યાય અપાવીશું.'
કડવા પાટીદારોની ચૂંટણીમાં બાદબાકી સાંખી નહીં લેવાય તેવું અલ્ટીમેટમ
કડવા પાટીદારોની ચૂંટણીમાં બાદબાકી સાંખી નહીં લેવાય તેવું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું. સૌરાષ્ટ્રમાં કડવા પાટીદારને ગઈ ટર્મમાં ભાજપે 8 ટિકિટ આપી હતી. જેમાં માણાવદર, ધોરાજી, ઉપલેટા, જામજોધપુર, મોરબી અને સુરેન્દ્રનગર બેઠક પર ટિકિટ મળી હતી. ત્યારે આ વર્ષે ફરી ચૂંટણીમાં રાજકીય પક્ષો કડવા પાટીદારને પ્રતિનિધિત્વ આપે તેવા સૂર ઉઠ્યા. 2012માં ભાજપે કડવા પાટીદારને માણાવદર અને કેશોદમાં ટિકિટ આપી હતી. જ્યારે 2017માં કેશોદમાં કોળી સમાજ અને માણાવદરમાં કડવા પાટીદાર સમાજના ઉમેદવાર લડ્યા હતા.
15 ટકા વસ્તી ધરાવે છે પાટીદાર સમાજ
હાલ 15 ટકાની વસ્તી ધરાવતો પાટીદાર સમાજ રાજ્યના રાજકારણમા ખૂબ જ મહત્વનું પાસું ધરાવે છે.જો કે હાલ રાજ્યમા OBC સમાજ 40 ટકા છે,જ્યારે પાટીદાર 15 ટકા છે,પરંતુ રાજકીય પ્રભાવ અને વગ વધારે છે, સમાજ એક થઈ ચૂંટણીમાં મત આપે છે.
પાટીદારોનો કેટલો છે પાવર?
- રાજ્યમાં કડવા અને લેઉવા પાટીદાર સમુદાયની 15 ટકા વસ્તી છે
- જેથી 2012માં 182 ધારાસભ્યો માંથી 50 ધારાસભ્યો પાટીદાર સમુદાયમથી હતા