જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના દિવસે મેળા સહિતના મોટા આયોજન પર રોક, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રવેડી યાત્રાનું કરાશે આયોજન
શિવનગરી જૂનાગઢમાં શિવરાત્રીનો જામ્યો માહોલ
શિવરાત્રી નિમિત્તે જૂનાગઢમાં નિકળી ડમરૂ યાત્રા
ભવનાથમાં રવેડી પહેલા નિકળી ડમરૂ યાત્રા
મહાશિવરાત્રી નિમિત્તે એક તરફ હરિદ્વારમાં કુંભનું આયોજન છે. તો બીજી તરફ ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવના દર્શન માટે ભક્તો આતૂર હોય છે. પરંતુ આ વર્ષ કોરોનાના કારણે ભવનાથમાં મહામેળાનું આયોજન સ્થગિત રાખવામાં આવ્યું છે. સરકારે પણ ભવનાથ સાથે અનેક ધાર્મિક સ્થળ પર મેળાના આયોજન પર રોક લગાવી છે. જેના કારણે જૂનાગઢમાં ભક્તોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.
આમ છતાં શિવભક્તો દર્શન માટે સવારથી પ્રમાણિત સંખ્યામાં પહોંચી રહ્યા છે. કેટલાક સ્થળ પર ભોજન અને ભક્તિનો સંગમ પણ જોવા મળ્યો હતો. કોરોના મહામારીના કારણે અવિરત ચાલતા અન્નક્ષેત્રો બંધ છે. તો આપાગીગાના ઓટલા અન્નક્ષેત્રમાં 25થી 30 હજાર લોકોએ ભોજન લીધું હતું.
ડમરૂ યાત્રા અને રવેડીનું આયોજન ચાલુ રહેશે
શિવનગરી જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો માહોલ જામ્યો છે. શિવરાત્રી નિમિત્તે જૂનાગઢમાં ડમરૂ યાત્રા કાઢવામાં આવી હતી. આ મેળામાં રવેડી પહેલા ડમરૂ યાત્રા નીકળે છે. આ રવેડીનું અનેરૂં મહત્વ છે. ભવનાથ તળેટીમાં ચાલી રહેલા મહાશિવરાત્રી મેળામાં હાલ ભજન, ભોજન અને ભક્તિનો સંગમ જામ્યો છે. પોલીસ તંત્ર દ્વારા મેળામાં કોરોનાને લઇને ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.
નાગાસાધુઓની પરંપરા
જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રિના મેળામાં નાગા સાધુઓ આકર્ષણનું કેન્દ્ર રહ્યાં. દિગંબર સાધુ એ દતાત્રે ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. ત્યારે શિવરાત્રિના દિવસે હજારોની સંખ્યામાં નાગા સાધુ આવે છે. અને એવી પણ માન્યતા છે કે ભગવાન શિવ પણ સાધુનો વેશ ધારણ કરી આવે છે.
મહાશિવરાત્રિમાં શાહી સ્નાનએ અખાડાઓની પરંપરા છે અને તેનું અતિ મહત્વ છે. જેમાં સાધુ-સંતો પોતાના યોગ, કર્મો, ક્રિયા અને ધ્યાનશક્તિનું પ્રદર્શન કરે છે. ભવનાથની તળેટીમાં મહાદેવનું અતિપૌરાણિક મંદિર આવેલું છે. ત્યારે આજે શિવજીને શ્રૃંગાર કરવામાં આવે છે. અને સવારથી જ મહામૃત્યુંજયનો જાપ કરાય છે.