વીરપુર ગામે એક શખ્શે મહિલાની છરીનાં ઘા મારી ગળુ કાપી નિર્મમ હત્યા કરી હતા. જે મામલે વીરપુર પોલીસે આરોપી ભાગે તે પહેલા તેને ઝડપી પાડ્યો હતો. ત્યારે પૂછપરછમાં આરોપીએ પ્રેમાંધ બનીને હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.
વીરપુરમાં પ્રેમીએ મહિલાનું ગળું કાપી કરી ઘાતકી હત્યા
વીરપુરના જલારામનગર પાસે નિર્જન સ્થળ પાસે બન્યો હતો બનાવ
પોલીસે આરોપીની ધરપકડ કરી જેલનાં સળીયા પાછળ ધકેલ્યો
વીરપુરમાં રહેતી કંચનબેન વાઘેલા નામની પરિણીત મહિલા જેતપુર સ્થિત એક કારખાનામાંથી મજૂરી કામ પૂર્ણ કરી નિત્યક્રમ મુજબ સાંજના સમયે પોતાના ઘરે જલારામનગર વિસ્તારમાં પરત આવતી હતી. ત્યારે રસ્તામાં અવાવરૂ ખેતર જેવી જગ્યામાં તેણીની કોઈ અજાણ્યા શખ્સે છરીના ઘા મારી હત્યા નિપજાવીને નાસી ગયો હતો.પોલીસે ગણતરીનાં કલાકમાં આરોપીને પકડી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.
કંચનબેન ચાવડા (મૃતક મહિલા)
પોલીસે આરોપી ભાગે તે પહેલા જ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો
બીજી તરફ પોલીસને સગડ મળતા બસ સ્ટેન્ડ પાસે વાહનમાં બેસી ભાગવાની ફિરાકમાં હતો. ત્યાં જ આરોપીને ઝડપી લીધો હતો. જેની પૂછપરછ કરતા પોતાનું નામ નારણભાઈ કેશુભાઈ ડાલીયા (ઉ.વ.૪૦) અને જેતપુરના દેરડી ધાર પાસે રહેતો હોવાનું તથા છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતો હોવાનું જણાવ્યું હતું.
મહિલાનો પીછો કરી તેની પર છરી વડે હુમલો કર્યો હતો
હત્યાના કારણ વિશે પોલીસે પૂછતાં જણાવેલું કે, જેતપુરમાં સામાંકાંઠા સ્થિત તેના મકાનમાં પંદરેક વર્ષ પૂર્વે મૃતક કંચનબેન ચાવડા તેણીના પતિ સાથે ભાડે રહેતી હતી. ત્યારે પ્રેમ સંબંધ બંધાયેલ હતો. ત્યારબાદ છએક વર્ષ પૂર્વે મૃતક તેણીના પતિ ગોવિંદભાઈ વાઘેલા સાથે વીરપુર રહેવા આવી ગઈ હતી. જેથી સંપર્ક ઓછો થઈ ગયો. પરંતુ આરોપી નારણ પીછો છોડતો ન હતો. જેમાં આજે કંચનબેન મજૂરી કામ પતાવી પોતાના ઘરે પરત ફરતી હતી ત્યારે તેણીનો પીછો કરી છરી વડે હુમલો કર્યો હતો. કંચનબેને છરીના ઘાથી બચવા હાથ આડા રાખતા છરીના ઘા લાગેલા હતા. જેથી નારણભાઈએ છરી વડે ગળું રહેંસી નાંખતા તેણીનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. આ મામલે વીરપુર પોલીસે આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.