જામનગરમાં કોરોના કેસે પગ જમાવતા કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક મળી, જેમાં કોરોના વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી
કોરોના સ્થિતિને લઇને જામનગરમાં બેઠક
કૃષિમંત્રીની અધ્યક્ષતમાં મળી બેઠક
વેક્સિનેશન, ટેસ્ટિંગની કામગીરીની સમીક્ષા
કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચુકી છે ત્યારે જામનગર શહેર-જિલ્લામાં સંક્રમણ પર નિયંત્રણ આવે તે માટે ઉચ્ચસ્તરીય બેઠક મળી.કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં કલેકટર, કમિશ્નર અને કોવિડ હોસ્પિટલના સીનીયર ડોક્ટર્સ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ઉપલબ્ધ બેડની વ્યવસ્થા, દર્દીઓની સંખ્યા, મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ, ઓક્સિજન વાળા બેડની સંખ્યા, વેન્ટિલેટર, ઓક્સિજન ટેન્ક, બાઈપેપ મશીનની સુવિધા, ઉપલબ્ધ આવશ્યક દવાઓ તથા દવાઓનો અનામત જથ્થો, પોઝિટિવ બાળકો તથા સગર્ભા મહિલાઓ માટેની વ્યવસ્થા, જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી, કોવિડ ટેસ્ટિંગ, સહિતની બાબતોની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. બાદમાં કોરોના દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા કરવા કૃષિમંત્રીએ તંત્રના અધિકારીઑને સૂચના આપી હતી.
જામનગરમાં કોરોના કેસના આંકડા
13 જાન્યુઆરી
216 કેસ
12 જાન્યુઆરી
101 કેસ
11 જાન્યુઆરી
129 કેસ
10 જાન્યુઆરી
90 કેસ
09 જાન્યુઆરી
57 કેસ
08 જાન્યુઆરી
53 કેસ
બૂસ્ટર ડોઝના વેક્સિનેશન માટેની વ્યવસ્થા
આ ઉપરાંત ખૂટતા મેડીકલ સ્ટાફ અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી.આમ ત્રીજી લહેર સામેની લડાઈ સત્વરે પાર પડી શકાય એવી વ્યવસ્થા પર ભાર મુકવામાં આવ્યો. સાથે જ જામનગર જિલ્લામાં બૂસ્ટર ડોઝ આપવાની પણ શરૂઆત થઈ ગઈ છે. જામનગર શહેરમાં જી.જી.હોસ્પિટલ અને 10 અર્બન આરોગ્ય કેન્દ્રો પર વેક્સિનેશન થઈ રહ્યું છે તથા જિલ્લાના 33 PHC, 9 CHC અને 210 સબસ્ટેશન પરથી જિલ્લામાં 24 હજારથી વધુ નાગરિકોને બૂસ્ટર ડોઝ વધુ ઝડપે આપી દેવાય તેવી વયસ્થાઓ કરવામાં આવી છે.