દેશમાં કોરોના વાયરસનો કહેર વધતો જઇ રહ્યો છે. ભારતમાં 1 લાખ 82 હજારથી વધારે લોકોમાં કોરોના વાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે. જ્યારે 5100થી વધારે લોકોના સંક્રમણથી મોત થયા છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડ કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં સતત ચોથા દિવસે 1 હજારથી વધારે દર્દીઓ સામે આવ્યા છે.
દિલ્હીમાં રવિવારે કોરોના વાયરસના 1295 નવા કેસ સામે આવ્યા
દિલ્હીમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 19844 પર પહોંચી
દિલ્હીમાં રવિવારે કોરોના વાયરસના 1295 નવા કેસ સામે આવ્યા. દિલ્હીમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 19844 પર પહોંચી ગઇ છે. ગત 24 કલાકમાં 416 દર્દીઓ સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8478 દર્દીઓ સાજા થયા છે. દિલ્હીમાં આ દરમિયાન 13 દર્દીઓના મોત થયા અને કોરોનાથી જીવ ગુમાવનારનો કુલ આંકડો વધીને 473 પર પહોંચી ગયો છે.
દિલ્હી પોલીસના 54 વર્ષના એક એએસઆઇનું કોરોનાને કારણે મોત થયું છે. દિલ્હી પોલીસમાં કોરોનાને કારણે મોતનો આ ત્રીજો કેસ છે. તેઓે વિક્રમ સુલ્તાનપુરી પોલીસ સ્ટેશનમાં તહેનાત હતા. 28 મે એ તેમનો કોરોના ટેસ્ટ થયો હતો અને 29 મેએ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદથી જ તેઓ હોસ્પિટલમાં એડમિટ હતા.
દિલ્હીએ કેન્દ્ર સરકાર પાસે માંગ્યા 5000 કરોડ રૂપિયા
દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે દિલ્હી સરકારની સામે કર્મચારીઓની સેલરીને લઇને સંકટ ઉભુ થયું છે. તેઓએ કહ્યું કે દિલ્હી સરકારને માત્ર સેલરી આપવા અને સાધારણ ખર્ચ માટે 3500 કરોડ રૂપિયાની જરૂર છે. ઉપ મુખ્યમંત્રી અનુસાર દિલ્હીને કુલ 7 હજાર કરોડ રૂપિયાની જરૂર છે. જ્યારે તેઓએ કેન્દ્ર સરકાર સમક્ષ માત્ર 5000 કરોડ રૂપિયાની માંગ કરી છે. મનીષ સિસોદિયાએ કહ્યું કે દિલ્હી સરકારને ડિઝાસ્ટર મેનેજમેન્ટના પૈસા મળ્યા નથી, સાથે જ ટેક્સ કલેક્શન પણ 85 ટકા નીચે ચાલ્યું ગયું છે.
દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 1,82143 થઇ ગઇ છે. જ્યારે કોરોનાથી કુલ 5164 લોકોના મોત થયા છે. જ્યારે આ બીમારીથી કુલ 86,984 લોકો સ્વસ્થ્ય થયા છે.