શિસ્ત બદ્ધ ભાજપ પાર્ટીમાં હાલોલમાં શિસ્તના લીરેલીરા ઊડ્યાં, સ્થાનિક નેતાઓ જૂથવાદ ચરમસીમા પર, સામ સામે કાર્યાલય ખોલ્યા
હાલોલ ભાજપમાં વિવાદ
જયદ્રથસિંહ સામે ગંભીર આરોપ
ભાજપના આગોવાનોએ કર્યા આરોપ
ભાજપની સૌથી મોટી શક્તિ સંગઠનમાં સમાયેલી છે પણ પંચમહાલ ભાજપમાં અવળી ગંગા વહી રહી છે. જુથવાદ ચરમસીમાએ પહોંચતા ભાજપના જ નેતાઑએ સામ સામે કાર્યાલય ખોલી નાખતા મોટો વિવાદ સર્જાયો છે. અત્યાર સુધી પંચમહાલ ભાજપના શિસ્તમાં રહેતા કાર્યકરો અને નેતાઓ ચૂંટણી આવતાની સાથે જ મારુ તમારું કરવા લાગ્યા છે.
ભાજપના જ બે સામ-સામે કાર્યાલય
વાત છે પંચમહાલના હાલોલ ભાજપની..હજુ ચૂંટણીની જાહેરાતની અટકળો થઈ રહી છે. ત્યારે લોકો અને કાર્યકર્તાઓને એક કરવાની જગ્યાએ હાલોલ ભાજપમાં જુથવાદ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર અને સ્થાનિક નેતાઓનો વિવાદ હવે ખુલ્લેઆમ આવી ગયો છે.ભાજપના નેતાઓએ સામ-સામે કાર્યાલયો શરૂ કર્યા છે. પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમારના કાર્યાલય સામે પંચમહાલ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સહિતના નેતાઓનું કાર્યાલય ખૂલી દેવાયું છે.
જયદ્રસિંહ પરમાર પુત્રને આગળ લાવવા પાર્ટી વિરુદ્ધ કામ કરી રહ્યા હોવાનો આક્ષેપ
પૂર્વ મંત્રી જયદ્રસિંહ પરમાર સામે આગેવાનોના ગંભીર આક્ષેપો છે. તેમના આરોપ મુજબ પુત્રને આગળ લાવવા પાર્ટીની પ્રણાલી વિરુદ્વ કામ કરવામાં આવી રહ્યું છે.પાયાના કાર્યકરોની અવગણના કરી પરિવારવાદને પ્રાધાન્ય અપાતું હોવાનો દાવો થઈ રહ્યો છે. મહત્વનું છે કે હાલની સ્થિતિએ જયદ્રથસિંહથી અનેક કાર્યકર્તાઓ નારાજ હોવાની વાત સામે આવી છે. પાર્ટી સામે નહીં કાર્યકર્તાઓને સાચવવા નવું કાર્યાલય ખોલાયા હાવાની સ્થાનિક નેતાઑ વાત કરી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલો મીડિયાને ધ્યાને આવતા ગાંધીનગરથી હાલોલ ભાજપના નેતા પર ગાજ થશે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.
આ પહેલા પૂર્વ મંત્રી જયદ્રથસિંહ આવી ચૂક્યા છે વિવાદમાં
થોડા મહિના અગાઉ હાલોલમાં સ્નેહમિલન કાર્યક્રમમાં જયદ્રથસિંહે નિવેદન કર્યુ હતું કે હું જે છું એ ભાજપ કાર્યકરોના આશીર્વાદથી છું, બાવો કે મંગળદાસના નહીં. તો તરફ ભાજપે આ ભાષણને એડિટ કરીને વાયરલ કરાયાનો દાવો કર્યો હતો. આ મામલે ભાજપના આગેવાને પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી હતી. કોઈ ટીખળખોરે આ વીડિયો ધાર્મિક લાગણી દુભાય તે રીતે બનાવ્યો હોવાના આક્ષેપ થયા હતા. આ ફરિયાદ સંદર્ભે હિન્દૂ સંગઠનોના આગેવાનોને હેરાન કરાતા હોવાનો દાવો થયો હતો. તેમજ જયદ્રથસિંહના ભાષણથી સંતોની લાગણી દુભાઈ હોવાના પણ આક્ષેપ થયા હતા.