આજે યોજાયેલી કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં કોંગ્રેસના વરીષ્ઠ નેતાઓનો જમાવડો જોવા મળ્યો. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહનસિંહ સહિતના નેતાઓએ આજે ગુજરાતના મહેમાન બન્યા હતા. કોંગ્રેસી નેતાઓએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી. સાથે સરદાર પટેલ સ્મારકની પણ મુલાકાત લીધી. જોઈએ આ અહેવાલ.
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ગુજરાતમાં યોજાઈ હતી. જેમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા અમદાવાદ આવી પહોંચ્યા હતા. સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસ નેતાઓ દ્વારા દાંડી યાત્રાને 89 વર્ષ પૂર્ણ થવાને પગલે ગાંધી આશ્રમમાં પ્રાર્થનાસભા યોજી હતી. ગાંધી આશ્રમ ખાતે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ડૉક્ટર મનમોહનસિંહ, પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી સ્મર્ણાંજલિ અર્પણ કરી હતી. પ્રાર્થના સભામાં તમામ કોંગ્રેસી નેતાઓ એક હરોળમાં જોવા મળ્યા હતા.
58 વર્ષ બાદ ગુજરાતમાં મળી રહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ભાગ લેવા આવેલા ગાંધી પરિવારે સવારે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. જ્યાં રાહુલ ગાંધીએ આશ્રમની વિઝિટર બુકમાં લખ્યું હતું કે- ગાંધી આશ્રમ ખુબજ પ્રેરણાદાયક સ્થળ છે. અમારા નેતાને જીવંત રાખવા બદલ આભાર અને સોનિયા ગાંધીએ પણ મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આશ્રમની મુલાકાત લઈને વિઝિટર બુકમાં મહાત્મા ગાંધીની પ્રેરણા વિષયે નોંધ લખી હતી.
તો ગાંધી આશ્રમમાં યોજાયેલી પ્રાર્થના સભામાં એક અદભૂત દ્રશ્ય જોવા મળ્યું હતું. કોંગ્રેસના ટોચના નેતા, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મનમોહનસિંહ એક લાઈનમાં બેઠા હતા, પરંતુ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની વચ્ચે એક જગ્યા ખાલી હતી. ત્યાં કોઈ બેઠેલું ન હતું. આમ તો જગ્યા પર પ્રિયંકા ગાંધીએ બેસવાનું હતું. પ્રિયંકા ગાંધી કોંગ્રેસના મહાસચિવ છે. સાથે સોનિયા ગાંધીના પુત્રી અને રાહુલ ગાંધીના બહેન છે. તેથી ગાંધી પરિવારના મોટા વ્યક્તિ હોવાને કારણે તેમને પ્રથમ હરોળમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ પ્રિયંકા ગાંધીએ પોતાની સાદગી બતાવી પ્રથમ હરોળમાં ન બેઠા અને સહજતા સાથે વિવિધ રાજ્યોના કોંગ્રેસ મહાસચિવની ચોથી લાઈનમાં બેસેલા જોવા મળ્યા. પ્રિયંકા ગાંધી સહજતાંથી સોનિયા અને રાહુલ પાસે બેસવાને બદલે ચોથી લાઈનમાં બેઠા હતા. એટલુ જ નહીં જ્યારે સોનિયા-રાહુલ અને પ્રિયંકા એરપોર્ટથી ગાંધીઆશ્રમ આવવા નીકળ્યા ત્યારે એક સાથે જ બસમાં બેઠા હતા, પરંતુ પ્રિયંકા ગાંધી પોતાની મા અને ભાઈ સાથે બેસવાને બદલે પાછળની સીટ પર બેસેલા જોવા મળ્યા.
તો ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા બાદ પોતાના નિયત સમયથી એક કલાક મોડા આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ગાંધી આશ્રમથી શાહીબાગના શહીદ સ્મારક જઇને પુલવામાના શહીદોને પોતાનાં શ્રદ્ધા સુમન અર્પણ કર્યાં હતાં અને ત્યાંથી સરદાર પટેલ સ્મારક ખાતેની વર્કિંગ કમિટીમાં જોડાવા રવાના થયા હતા અને ત્યારબાદ વર્કિગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ દ્વારા કેટલાક મહત્વપૂર્ણ ઠરાવ પાસ કરવામાં આવ્યા હતા.