રાજકોટ AAPના શહેર યુવા પ્રમુખ દેવાંગ ગજ્જર, શહેર મહામંત્રી દિવ્યકાંત કગરાણા સહિત 300 જેટલા કાર્યકરોએ એકસાથે રાજીનામું ધરી દીધુ
આમ આદમી પાર્ટી રાજકોટમાં મોટુ ભંગાણ
300 જેટલા કાર્યકરોએ એકસાથે રાજીનામું ધરી દીધું
આજે શહેર યુવા પ્રમુખ અને શહેર મહામંત્રીએ પણ આપ્યું રાજીનામું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવી કોંગ્રેસને ફટકો આપનાર આમ આદમી પાર્ટી રાજકોટમાં મોટુ ભંગાણ થયું છે. આજે શહેર યુવા પ્રમુખ દેવાંગ ગજ્જર, સેન્ટ્રલ ઝોન પ્રભારી ઇન્દુભા રાઉલ, શહેર મહામંત્રી દિવ્યકાંત કગરાણા સહિત 300 જેટલા કાર્યકરોએ એકસાથે રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાયું છે.
રાજીનામા આપવા પાછળનું કારણ પાર્ટીમાં યુવાનોની અવગણના થતી હોવાનું જણાવ્યું છે. રાજીનામાં અંગે પૂર્વ આપ નેતા ઇન્દુભા રાઓલે જણાવ્યું હતું કે, કેજરીવાલ અને આપની વિચારધારાથી યુવા રાજનીતિને આગળ વધારવા આપ સાથે અમે તમામ લોકો જોડાયા હતા. પરંતુ પાર્ટીમાં યુવાનોનો માત્ર રેલી કે સભા દરમિયાન જ ઉપયોગ કરવામાં આવતો હતો. તેમજ યુવાનોની અવગણના થતી હતી.
આ અંગે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાને યુવાનોની અવગણના બાબતે વારંવાર રજુઆત કરવામાં આવી હતી. પરંતુ આમ છતાં પણ કોઇ યોગ્ય નિરાકરણ ન આવતા અમે તમામ લોકોએ એકસાથે મળી રાજીનામું ધરી દીધું છે.
ગુજરાતમાં ગાંધીનગર તરફ મોરચો માંડશે આમ આદમી પાર્ટી
ગુજરાતમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી અને પરિણામમાં ભાજપનો સવર્ત્ર ભગવો લહેરાયો છે. પરંતુ સુરતમાં આ વખતે કોંગ્રેસ પોતાનું ખાતું ખોલાવી શકી નથી. તો આ્રમ આદમી પાર્ટીના એક સાથે 27 કોર્પોરેટર્સ બન્યા છે. તો હવે ગાંધીનગર મનપાની પણ ચૂંટણી યોજાશે. અને આ ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારવા જઈ રહી છે.
સુરતમાં 27 ઉમેદવારની જીત બાદ આમ આદમી પાર્ટીનું નવું મૂકામ ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી તરફ છે. જેના કારણે AAPના પ્રદેશ હોદ્દેદારો અને કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. રાયસણ વિસ્તારમાં યોજાયેલા સંમેલનમાં આગામી ચૂંટણીને લઈ અનેક મુદ્દાઓ ઉઠ્યા હતા. મહત્વનું છે કે, થોડા દિવસોમાં ગાંધીનગર મનપાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.