ગુજરાતના ખેડૂતો ડુંગળી અને લસણની ટેકાના ભાવે ખરીદી કરવાની માગ કરી રહ્યા છે, ત્યારે લસણ-ડુંગળીના ભાવ મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલ અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું છે.
રાજ્યમાં લસણ-ડુંગળીના ભાવ મુદ્દે કૃષિમંત્રીનું નિવેદન
ડુંગળી-લસણના ભાવનો ઉકેલ આવે એ દિશામાં અમે કરી રહ્યા છીએ કામઃ કૃષિમંત્રી
ખેડૂતોને લસણ અને ડુંગળીના સારા ભાવ મળે તે માટે વ્યવસ્થા કરવી જરૂરીઃ સંઘાણી
આજથી રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે. જેથી ખેડૂતો ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરી શકશે. આ તમામ વચ્ચે ગુજરાતમાં લસણના ભાવ ન મળતા ખેડૂતો તેને મફતમાં વેચવા મજબૂર બન્યા છે, ખેડૂતો ડુંગળી અને લસણની પણ ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ કરી રહ્યા છે, ત્યારે આજે રાજકોટ ખાતેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવતી વખતે લસણ-ડુંગળીના ભાવ મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું.
ગયા વર્ષે કિલોએ 2 રૂપિયાની જાહેર કરી હતી સહાયઃ કૃષિમંત્રી
કૃષિમંત્રીએ કહ્યું કે, 'ડુંગળી અને લસણના ભાવમાં ઘણી વખત ઘણા મોટા તફાવતો થાય છે. તમે બધા જાણો છો વૈશ્વિક વેપારમાં માંગ અને પૂરવઠાના સિદ્ધાંતો પ્રમાણે આવી સ્થિતિઓ ઊભી થાય છે. તેના ઉકેલ માટે અમે ગયા વર્ષે ડુંગળી ઉત્પાદક ખેડૂતો માટે કિલોએ 2 રૂપિયાની સહાય પણ જાહેર કરી હતી. અમે 100 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવીને ડુંગળી ઉત્પાદક ખેડૂતોને આર્થિક નુકસાન ન જાય એ માટે પૂરતી કાળજી લીધી હતી.'
ડુંગળી-લસણના ભાવ અંગે કેન્દ્ર સરકાર સાથે ચાલી રહી છે વાતચીતઃ રાઘવજી પટેલ
તેમણે જણાવ્યું કે, 'લસણ બાબતે પણ અમે ગંભીરતાપૂર્વક કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ અને તેનો ઉકેલ આવે એ દિશામાં કાર્યવાહી થઈ રહી છે.'
લસણ અને ડુંગળીની મૂલ્યવૃધ્ધિ થાય તેવા પ્રયાસો કરીશુંઃ સંઘાણી
તો આ અંગે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, લસણ ડુંગળીથી માંડીને મગ અને અળદ કોઈપણ કૃષિ જણસના ભાવ ખેડૂતોને પોષાય એટલા મળવા જોઈએ. એના માટે જ્યાં જેવો ફેરફાર કરવા જેવો લાગે એ સરકારે કરવો જોઈએ. જે તાત્કાલિક બગડી જાય એવી જણસ છે, તેને સરકારે ટેકાના ભાવમાં સમાવેશ કરી નથી. જેના કારણે સરકાર ખરીદે નહીં. અમે લસણ અને ડુંગળીની મૂલ્યવૃધ્ધિ થાય તેવા પ્રયાસો કરીશું.
લસણનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતો નોંધાવી રહ્યા છે વિરોધ
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ખાતે લસણ પકવતા ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. તેમને પૂરતો ભાવ ન મળતા વિરોધ નોંધાવી રહ્યા છે. લસણ પકવતા ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર સાથે મળી રાજ્ય સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવશે. જોકે, સરકાર માટે લસણ અને ડુંગળીના ભાવનો પ્રશ્ન હલ કરવો લોઢાના ચણા ચાવવા સમાન બની રહ્યો છે. ત્યારે આ મામલે ખેડૂતોના પ્રશ્નનો કેટલા સમયમાં હલ કરવામાં આવશે તે જોવું મહત્વનું રહેશે.