ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ પણ હજુ રાજ્યમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. ત્યારે ઓગસ્ટ માસમાં રાજ્યની અંદર 446 લોકો રખડતા ઢોરના કારણે ઇજાગ્રસ્ત થયા.
ગુજરાતમાં હજુ રખડતા ઢોરનો આતંક યથાવત
ઓગસ્ટ મહિનામાં 446 લોકોને ઢોરે અડફેટે લીધા
સૌથી વધુ અમદાવાદમાં 56 લોકો શિકાર બન્યા
રાજ્યના વિવિધ નગરોમાં રખડતા ઢોરના લીધે અનેક અકસ્માત સર્જાયાની ઘટનાઓ સામે આવી છે. જેથી ખુદ ગુજરાત હાઇકોર્ટે પણ આ મુદ્દે તંત્રની આકરી ઝાટકણી કાઢી છે. આથી હાઈકોર્ટની ફટકાર બાદ હવે રાજ્યનું તંત્ર આળસ મરડીને ઊભું થયું છે. તંત્ર દ્વારા ઠેર-ઠેર રખડતા ઢોરને પકડવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે હજુ પણ રખડતા ઢોરનો આતંક રાજ્યમાં યથાવત જોવા મળી રહ્યો છે.
ઓગસ્ટ મહિનામાં 446 લોકોને રખડતાં ઢોરે અડફેટે લીધા
રાજ્યમાં માત્ર ઓગસ્ટ મહિનામાં જ 446 લોકોને રખડતાં ઢોરે અડફેટે લીધા છે. 446 લોકોને નાની મોટી ઈજાઓ થતા તેઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 56 લોકો રખડતા ઢોરનો શિકાર બન્યા. તો અમરેલીમાં 19, ભાવનગર અને બનાસકાંઠામાં 18, આણંદમાં 8, અરવલ્લીમાં 7 અને ભરૂચમાં 4 લોકો અકસ્માતના ભોગ બન્યા છે.
રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં અધધ 4,860 અકસ્માતના બનાવો બન્યા
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રખડતાં ઢોરને લીધે થયેલા અકસ્માતોને લઇને VTV પાસે EXCLUSIVE માહિતી સામે આવી હતી. જેમાં રાજ્યમાં રખડતા ઢોરથી છેલ્લા એક વર્ષમાં અધધ 4,860 અકસ્માતના બનાવો બન્યા હતા. જેમાં કેટલાય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તો કેટલાય લોકો મોતને ભેટ્યા હતા. જેમાં રખડતાં ઢોરને કારણે ઓગસ્ટ 2021માં 314 અકસ્માત થયા હતા. જ્યારે સપ્ટેમ્બર 2021માં 372, ઓક્ટોબર 2021માં 447, નવેમ્બર 2021માં 438 ડિસેમ્બર 2021માં 375 અકસ્માત થયા હતા. જ્યારે ચાલુ વર્ષે જાન્યુઆરી 2022માં 375, ફેબ્રુઆરીમાં 359 અકસ્માત, માર્ચમાં 392 એપ્રિલમાં 465 અકસ્માત, મે મહિનામાં 444, જૂન મહિનામાં 423 અને જુલાઇમાં 457 લોકો ઢોરની અડફેટે ચડયા હતા.
અત્રે નોંધનીય છે કે, અમદાવાદમાં રખડતા ઢોર મામલે આજે હાઈકોર્ટે ફરીવાર તંત્રનો ઉધડો લીધો છે. પરંતુ તંત્ર જાણે હાઇકોર્ટના આદેશને પણ અવગણતી હોય તેમ નીરસ કામગીરી કરી રહ્યું છે. ત્યારે નાગરિકોને હજુ પણ રોડ રસ્તા પર નીકળતા ડર લાગી રહ્યો છે.
ઢોર પાર્ટી પર હુમલો કરનારા સામે ફરિયાદ નોંધો: હાઇકોર્ટ
મહત્વનું છે કે, આજે હાઇકોર્ટમાં રખડતા ઢોરને લઇને સુનાવણી હાથ ધરવામાં આવી. જેમાં HCએ ફરીવાર તમામ મહાનગરપાલિકાનો ઉધડો લઇ લીધો અને તંત્રની કામગીરીથી અસંતોષ વ્યક્ત કરતા કહ્યું કે, 'માત્ર ફરિયાદો જ થાય છે કે ધરપકડ પણ કરાય છે? રખડતા ઢોરની સંખ્યા પ્રમાણે AMCની કાર્યવાહી ધીમી છે. એક પણ કિસ્સામાં કડકાઈથી કામગીરી કરી હોય તો જણાવો. દર વખતે આંસુ સારવાથી કામ નહીં ચાલે. ઢોર પાર્ટી પર હુમલો કરનારા સામે ફરિયાદ નોંધો.'